ભારતમાં અમેરિકન રાજદૂત નેન્સી પૉવેલનું રાજીનામુ
નવી દિલ્હી, 1 એપ્રિલ : ભારતમાં અમેરિકાના રાજદૂત નેન્સી પૉવેલે પોતાના પદથી રાજીનામુ આપવાની સાથે સરકારી નોકરીમાંથી રજા લેવાની જાહેરાત કરી છે.
નેન્સી પૉવેલે દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસમાં એલાન કર્યું કે તેઓ પહેલાથી નક્કી કરેલા આયોજન મુજબ મે મહિનાના અંતમાં સરકારી નોકરીમાંથી રજા લઇ રહી છે. તેમણે રાષ્ટ્રપતિ ઓબામાને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે.
ભારતીય મીડિયામાં પહેલેથી આ ખબર અંગે ચર્ચા ચાલી રહી હતી કે નેન્સી પૉવેલ ભારતીય રાજનયિક દેવયાની ખોબરાગડેની ધરપકડથી ઉભા થયેલા તણાવ અને ભારતીય વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાનું યોગ્ય આકલન નહીં કરી શકવાની ભૂલને કારણે આમ કરવું પડ્યું હોઇ શકે છે.
આ બાબતે અમેરિકન મીડિયાની અટકળોને ફગાવી દેતા અમેરિકાના વિદેશ વિભાગે જાહેર કર્યું છે કે બરાક ઓબામાને પૉવેલની કાબેલિયત પર પૂરો ભરોસો છે.
આ અંગે સોમવારે વિદેશ વિભાગના પ્રવક્તા મેરી હાર્ફે જણાવ્યું કે આ રાજીનામાનું ભારતની લોકસભા ચૂંટણી 2014ની સાથે કોઇ લેવા દેવા નથી. આ પહેલાથી જ નિર્ધારિત હતું. તેઓ 37 વર્ષની સફળ નોકરી બાદ રજા લઇ રહ્યા છે. તેઓ ડેલાવેયર સ્થિત પોતાના નિવાસસ્થાને પાછી ફરી રહી છે.