ઉત્તરાખંડ : મૃત્યુઆંક 600ને પાર, શિંદે અને મોદી આજે મુલાકાત લેશે
દહેરાદૂન, 22 જૂન : ઉત્તરાખંડમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં દેશમાં અત્યાર સુધીની સૌથી જંગી બચાવ કામગીરી હાથ ધરીને અંદાજે 33,000 હજાર લોકોને આ કુદરતી કહેરમાંથી ઉગારી લેવામાં આવ્યા છે. આ જંગી બચાવ કામગીરી માટે વધારે હેલિકોપ્ટરો અને વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં પૂરથી તબાહ થયેલા વિસ્તારોમાં હજારો લોકો હજી પણ ફસાયેલા છે. આજે ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ વિસ્તોરોની મુલાકાત લેશે.
આ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર મરણાંક વધીને 600ને પાર થયો છે. મૃત્યુઆંકના આંકડાનું સમર્થન ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ કર્યું છે. બચાવ કામગીરીમાં ઝડપ આવે તે માટે લશ્કરના જવાનોની સહાય પણ લેવામાં આવી રહી છે. રૂદ્રપ્રયાગના કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ‘હિમાલયન સુનામી' આવ્યા બાદ ઠંડી, ભૂખ અને તરસથી લોકો મૃત્યુ પામવાનું શરૂ થઈ ગયું છે.
સેનાના જવાનો પોતાનો જાન જોખમમાં મૂકીને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં વ્યસ્ત છે. હેલિકોપ્ટરમાંથી તે સ્થળનું નિરીક્ષણ કર્યું તો માત્ર મૃતદેહો જ નજરે પડ્યા હતા. કેદારનાથ મંદિર પરિસરમાં 25 થી 30 મૃતદેહો પડેલા દેખાયા હતા. તેથી મરણાંક વધારે પણ હોઈ શકે છે.