Vande Bharat: પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરીથી પત્થરમારો, ટ્રેનના કાચ તૂટ્યા, તપાસ ચાલુ
પશ્ચિમ બંગાળમાં રવિવારે એક વાર ફરીથી વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારાનો મામલો સામે આવ્યો છે.
Vande Bharat: પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારાનો સિલસિલો હજુ નથી અટકી રહ્યો. બંગાળમાં રવિવારે એક વાર ફરીથી વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારાનો મામલો સામે આવ્યો છે. પત્થર ફેંકવાથી ટ્રેનના કાચ તૂટ્યા છે. સૂચના પર પહોંચેલા અધિકારીએ તપાસ શરુ કરી દીધી છે. માહિતી મુજબ વંદે ભારતના સ14 કમ્પાર્ટમેન્ટ પર પત્થર ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે તેના કાચ તૂટી ગયા. પત્થરમારા બાદ ટ્રેનને બોલપુર રેલવે સ્ટેશન પર ઘણી વાર સુધી રોકવી પડી.
વળી, આ પહેલા પણ આ હાઈસ્પીડ ટ્રેન પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે ચાલી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર અમુક અજ્ઞાત લોકોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને કારણે હાઈસ્પીડ ટ્રેનના કોચ સી3 અને સી6ના કાચ તૂટી ગયા હતા. આરપીએફ કમાન્ડન્ટે કહ્યુ હતુ કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તાર પાસે જ્યારે ટ્રેન ન્યૂ જલપાઈગુડી તરફ આગળ વધી રહી હતી ત્યારે બારીઓ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી.
ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર રેલવેના સીપીઆરઓ સબ્યસાચી ડેના જણાવ્યા મુજબ વંદે ભારત એક્સપ્રેસ પર 3 જાન્યુઆરીએ બપોરે 1.30 વાગ્યાની આસપાસ પથ્થરમારો કરવાના સંબંધમાં રેલવે અધિનિયમની કલમ 154 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જ્યારે ટ્રેન ન્યૂ જલપાઈગુડી તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ટ્રેનના સી3 અને સી6 કોચના કાચ તૂટી ગયા હતા.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 30 ડિસેમ્બરે બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 અને 2 જાન્યુઆરીએ પથ્થરમારાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળમાં નહિ પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જુઠ્ઠાણા ફેલાવવાનુ કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.