જાણો, શું છે કેબિન પ્રેસર અને ફ્લાઈટમાં કેમ જરૂરી હોય છે?
જાણો, શું છે કેબિન પ્રેસર અને ફ્લાઈટમાં કેમ જરૂરી હોય છે?
વિમાનમાં સફર કરીએ ત્યારે ફ્લાઈટ અટેન્ડન્ટ સેફ્ટી ડેમો આપતી વખતે ઓક્સિઝન માસ્ક કઈ રીતે પહેરવું એ અંગે પણ માહિતી આપે છે તેના પર ક્યારેય તમે ધ્યાન આપ્યું? મોટા ભાગના લોકો આ સેફ્ટી ડેમોને વાહિયાત સમજી તેના પર વધુ ધ્યાન નથી આપતા. જો કે આ ઓક્સિઝન માસ્કે જ આજે 169 લોકોના જીવ બચાવી લીધા. એરલાઈનની બેદરકારીને પગલે મુંબઈથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં સવાર 169 પ્રવાસીઓના જીવ જોખમાયા હતા.
સૂત્રોએ જણાવ્યા મુજબ જેટ એરવેઝની ફ્લાઈટ 9W 697ના ક્રૂ મેમ્બર્સ 'બ્લિડ સ્વિચ' એક્ટિવેટ કરતાં ભૂલી જતાં 169 લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. દરેક ફ્લાઈટમાં રહેલી આ બ્લિડ સ્વિચને ટેક ઑફ બાદ ઑન કરવાની રહેતી હોય છે. જો કે જેટ એરવેઝની મુંબઈથી ઉપડેલી ફ્લાઈટની આ સ્વિચ દબાવવાની રહી જતાં 30 જેટલા પ્રવાસીઓને આંખ અને કાનમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું હતું. જો કે તાત્કાલિક ધોરણે ફ્લાઈટને પરત મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવી અને તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.
ફ્લાઈટમાં આપણને કેબિન પ્રેસરની કેમ જરૂરત હોય છે? કેમ કે આપણને ઓક્સિઝનની જરૂર પડતી હોય, મોટા ભાગના લોકો માને છે કે જમીનથી જેમ ઉપર જઈએ તેમ ઑક્સિઝનનું પ્રમાણ ઘટતું જાય તેથી કેબિન પ્રેસરની જરૂર પડે, પણ હકિકતમાં આ સાચું નથી. પાયલટે સમજાવ્યા મુજબ જમીન પર છે એટલા ટકા ઓક્સિઝન ઉંચાઈ પર પણ હોય છે. પરંતુ જેમ ઉંચાઈ વધારે તેમ પ્રેસર ઓછું, જેને કારણે શ્વાસમાં આપણે ઓછો ઓક્સિઝન જ લઈ શકીએ છીએ.
પાયલટે જણાવ્યું કે કેબિનની અંદર ઓછી ઉંચાઈનું અનુકરણ કરી એરક્રાફ્ટને પ્રેસરાઈઝ કરવામાં આવે છે. જેથી એરક્રાફ્ટ વધુ ઉંચાઈ પર જાય ત્યારે કેબિન પણ પ્રેસરાઈઝ થાય છે અને જ્યારે ફ્લાઈટ નીચે આવે છે ત્યારે ધીમે-ધીમે દબાણ ઘટતું જાય છે. ત્યારે આગળ જાણો એરલાઈન કેબિનને કેવી રીતે પ્રેસરાઈઝ્ડ કરવામાં આવે છે?
સ્મિથસોનિયન ઈન્સ્ટીટ્યૂશનની એર એન્ડ સ્પેસ મેગેઝિનમાં આ અંગે સંપૂર્ણ અહેવાલ આપવામાં આવ્યો છે. જેના પરથી ભાવાર્થ નીકળે છે કે પ્લેનના એન્જિનમાંતી નીકળેલ હૉટ હાઈ પ્રેસર એરને બ્લિડ એર તરીકે ઓળખવામાં આવે છે જેને મલ્ટિ સ્ટેપ પ્રોસેસ દ્વારા ઠંડી પાડવામાં આવે છે અને તે કેબિનમાં રહેલી એર સાથે મિશ્રણ પામે છે. આવી રીતે 30 હજાર ફીટની ઉંચાઈએ પણ જમીન જેટલું પ્રેસર યથાવત રાખવામાં આવે છે.
આજે મુંબઈથી ઉપડેલ જેટ એરવેઝની ફ્લાઈટ ટેક ઑફ થયા બાદ પાયલટ બ્લિડ સ્વિચ ઓન કરતાં ભૂલી ગયા હતા જેને પગલે 169 લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. ફ્લાઈટ ઉંચાઈ પર જતાની સાથે જ કેબિનની અંદર હવાનું દબાણ વધવા લાગ્યું અને જેને કારમે 30 જેટલા લોકોને કાન અને નાકમાંથી અચાનક લોહી નીકળવા લાગ્યું હતું. જો કે ઘટનાની જાણ થતાંની સાથે જ પાયલટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને તમામ અસરગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.
આ પણ વાંચો- ચાલુ ફ્લાઈટે 30 યાત્રીઓના નાક-કાનમાંથી અચાનક નીકળવા મંડ્યું લોહી