Third Wave of Corona - દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે?
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે વજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ચાલુ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
Third Wave of Corona : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે વજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ચાલુ મહિનામાં એટલે કે ઓગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન દેશમાં કોરોના સંક્રમણના દૈનિક 1 લાખથી 1.5 લાખ સુધી કેસ નોંધાઇ શકે છે.
ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર તેના પીક પર પહોંચી શકે છે
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ સંશોધન હૈદરાબાદ અને કાનપુરની IITમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળની તેમની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. જે બાદ રિપોર્ટ આપ્યો છે કે, ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેર તેના પીક પર પહોંચી શકે છે.
કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય
આ રિસર્ચમાં જણાવ્યા મુજબ, કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન, સમગ્ર દેશમાં દરરોજ કોરોના વાયરસના 4 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે બાદ ધીરે ધીરે કેસ ઘટવા લાગ્યા હતા.
કોરોનાનો પ્રકોપ તેની ટોચ પર પહોંચી શકે છે
વૈજ્ઞાનિકોનું આ નવું સંશોધન ગાણિતિક મોડેલના આધારે કરવામાં આવ્યું છે. સંશોધન સાથે સંકળાયેલા IIT હૈદરાબાદના પ્રોફેસર મથુકુમલ્લી વિદ્યાસાગરે આ અગાઉ મે મહિનામાં ગાણિતિક મોડેલના આધારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો પ્રકોપ આગામી દિવસોમાં તેની ટોચ પર પહોંચી શકે છે.
પ્રોફેસર વિદ્યાસાગરની ટીમની આગાહી ખોટી સાબિત થઈ
એપ્રિલમાં કોરોના વાયરસના પીક અંગે પ્રોફેસર વિદ્યાસાગરની ટીમની આગાહી ખોટી સાબિત થઈ હતી. પ્રોફેસર વિદ્યાસાગરે ટ્વિટ કર્યું હતું કે, આ ખોટા પરિમાણોને કારણે થયું છે, કારણ કે એક અઠવાડિયા પહેલા સુધી કોરોના મહામારી ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહી હતી.
કેરળ સહિત 10 રાજ્યોએ કેન્દ્ર સરકારની ચિંતા વધારી
ઉલ્લેખનીય છે કે, અત્યારે કેરળ સહિત 10 રાજ્યો છે, જ્યાં કોરોના વાયરસના આંકડાઓ ભયજનક રીતે વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિને જોતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કેરળમાં તબીબી નિષ્ણાતોની ટીમ પણ મોકલી હતી. સોમવારના રોજ પણ સમગ્ર દેશમાં કોરોના વાયરસના 40,134 નવા કેસ નોંધાયા છે.