Exclusive : ક્યાંથી નિકળશે ‘ચૌદનો ચક્રવર્તી’, વડોદરાને પણ મળી શકે સૌભાગ્ય!
અમદાવાદ, 26 માર્ચ : લોકસભા ચૂંટણી 2014ના પડઘર શરૂ થઈ ગયાં છે. આગામી 7મી એપ્રિલથી મતદાન પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ જવાનો છે. એક બાજુ મુખ્ય રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવાની મથામણમાં પડ્યાં છે, તો બીજી બાજુ સામાન્ય પ્રજામાં અનેક પ્રકારના મુદ્દાઓ વચ્ચે સૌથી મુખ્ય મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે વડાપ્રધાન કોણ બનશે?
હવે એ તો સૌ જાણે છે કે વડાપ્રધાન પદની દોડમાં કોણ-કોણ છે? એ બતાવવાની ક્યાં જરૂર છે કે ભારતીય જનતા પક્ષ તરફથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે, તો એ પણ ક્યાં છુપાયેલું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અઘોષિત રીતે વડાપ્રધાન પદના ઉમેદવાર છે. આ તો થઈ દેશના બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ તથા મોદી અને રાહુલની વાત. બીજી બાજુ વધુ એક નામ છેલ્લા છ માસમાં ઝડપથી ઉપસ્યું છે અને તેનાથી પણ સૌ વાકેફ છે જ. દિલ્હીમાંથી ઉપસેલા અરવિંદ કેજરીવાલ અનાયાસે જ આ દોડમાં જોડાઈ ગયાં છે.
લોકસભા ચૂંટણી 2014 માટે તમામ પક્ષો તથા વડાપ્રધાન પદની રેસના મહારથીઓ પોત-પોતાની રીતે સંઘર્ષ અને પ્રચારમાં જોડાઈ ગયાં છે, તો આ મહારથીઓ પોતે પણ ચોક્કસ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી મેદાને છે, તો રાહુલ ગાંધી અમેઠીથી અપ્રત્યક્ષ અને અરવિંદ કેજરીવાલ વારાણસીથી નરેન્દ્ર મોદીને સીધી ટક્કર આપી રહ્યાં છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ક્યાંથી નિકળશે ‘ચૌદનો ચક્રવર્તી'? વારાણસીથી, અમેઠીથી કે પછી વડોદરાથી?
અહીં આપના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે ચૌદના ચક્રવર્તીના પ્રશ્નના જવાબમાં વડોદરાને કેમ જોડવામાં આવ્યું છે? સૌ જાણે છે કે મોદી જો વારાણસી અને વડોદરા બંને બેઠકો ઉપરથી જીતે, તો તેઓ વડોદરા બેઠક ઉપરથી રાજીનામુ આપી દેવાના છે, પરંતુ ભાઈ ચૂંટણીમાં કંઈ પણ થઈ શકે છે? ખાસ તો અરવિંદ કેજરીવાલે ગઈકાલે વારાણસીમાંથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ લોકોમાં એ શંકા ઊભી થવી સ્વાભાવિક છે કે જે રીતે કેજરીવાલે દિલ્હીમાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતને પરાજિત કર્યા હતાં, તેવી જ રીતે ક્યાંક તેઓ મોદીને વારાણસીમાંથી માત આપી દે તો? તેવી પરિસ્થિતિમાં જો એનડીએ સરકાર બનાવવાની પરિસ્થિતિમાં હોય અને વડોદરાથી જીતેલા નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બને, તો ચૌદનો ચક્રવર્તી વડોદરાથી નિકળેલો જ કહેવાશે ને!
ચાલો તસવીરો સાથે જોઇએ વારાણસી-વડોદરા-અમેઠી ઉપરાંત બીજે ક્યાંથી નિકળી શકે ‘ચૌદનો ચક્રવર્તી' :
હૉટ ફૅવરિટ વારાણસી
લોકસભા ચૂંટણી 2014 એટલે કે ચૌદનો ચક્રવર્તી નિકળવાની સૌથી વધારે શક્યતા વારાણસીમાંથી છે, કારણ કે અહીંથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યાં છે કે જેઓ અત્યાર સુધીના તમામ સર્વેમાં સૌથી મનપસંદ વડાપ્રધાન તરીકે ઉપસતા આવ્યાં છે. જો એનડીએને બહુમતી મળે અને મોદી પણ વારાણસીથી જીતે, તો ચૌદનો ચક્રવર્તી અહીંથી જ નિકળશે.
અમેઠી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભલે પક્ષ તરફથી વડાપ્રધાન પદના ઘોષિત ઉમેદવાર નથી, પણ સૌ જાણે છે કે જો કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં સરકાર બને, તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે કે જેઓ અમેઠીમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
વારાણસી-વડોદરામાં ટક્કર
વારાણસીમાં જો નરેન્દ્ર મોદી હારી જાય તો? ચૂંટણીમાં બધુ શક્ય છે. જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો? મોદીએ જોકે અગાઉથી જ બીજી સલામત સીટ વડોદરા પસંદ કરેલી જ છે. જો એનડીએને બહુમતી મળે, પણ મોદી વારાણસીથી હારી જાય, તો ચૌદના ચક્રવર્તીનો તાજ વડોદરાને મળે. બીજી શક્યતા એમ પણ કહી શકાય કે જો કેજરીવાલ જીતી જાય અને એનડીએ-યુપીએમાંથી કોઈને બહુમત ન મળે તથા કેજરીવાલ કોઈ પણ રીતે વડાપ્રધાન બને, તો વારાણસીને ચૌદનો ચક્રવર્તી આપવાનો સૌભાગ્ય મળે.
રાયબરેલી
રાયબરેલીને ચૌદનો ચક્રવર્તી આપવાની તક તો 2004માં જ મળી ગઈ હતી, પરંતુ ભાજપના વિરોધના પગલે સોનિયા ગાંધી વડાપ્રધાન ન બની શક્યાં. 2009માં પણ સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યાં અને કદાચ 2014માં પણ સોનિયા ગાંધી રાયબરેલીથી જીતી જશે, પરંતુ વડાપ્રધાન તો નહીં જ બને. જોકે કોઈક એવી પરિસ્થિતિ પેદા થાય અને સોનિયા વડાપ્રધાન બની જાય, તો રાયબરેલીના શીરે ચૌદના ચક્રવર્તીનો તાજ સજી શકે છે.
આજમગઢ-મૈનપુરી
જો લોકસભા ચૂંટણીમાં ત્રીજા મોરચાની સરકાર બનવાની પરિસ્થિતિ પેદા થાય, તો આજમગઢ અને મૈનપુરીમાંથી કોઈ એકને ચૌદનો ચક્રવર્તી આપવાનો સંતોષ મળી શકે છે. સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમ સિંહ આ વખતે મૈનપુરી ઉપરાંત આજમગઢમાંથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. જો ત્રીજા મોરચાની સરકાર બને, તો વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ તેઓ જ રહેશે.
ત્રીજા મોરચાનો શંભૂ મેળો
ત્રીજા મોરચાની સરકાર બને, તો મુલાયમ સિંહ ઉપરાંત પણ ઘણા નેતાઓ છે કે જેઓ વડાપ્રધાન બની શકે છે. જોકે આ નેતાઓ ચૂંટણી નથી લડી રહ્યાં. તેમાં જયલલિતા, નવીન પટનાયક, નિતિશ કુમાર, માયાવતી અને મમતા બૅનર્જીનો સમાવેશ કરી શકાય છે. શરદ પવાર જેવા નેતાઓ પણ વડાપ્રધાન પદની રેસમાંથી બહાર નથી.
ગાંધીનગર
ગાંધીનગર પણ ચૌદના ચક્રવર્તીનો તાજ બની શકે છે! આશ્ચર્યજનક વાત નથી, કારણ કે જો ચૂંટણી પરિણામો બાદ એવી પરિસ્થિતિ સર્જાય કે મોટાપાયે અન્ય પક્ષોનો ટેકો લઈ એનડીએની સરકાર બનાવવી પડી અને ટેકેદાર પક્ષો નરેન્દ્ર મોદીના નામે સંમત ન થાય, તો એનડીએ તરફથી સૌથી સર્વસંમત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લાલકૃષ્ણ અડવાણી ઉપસી શકે છે કે જેઓ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યાં છે.
વિદિશા
આ પરિસ્થિતિમાં જો અડવાણીના નામ સામે કદાચ નરેન્દ્ર મોદીને વાંકુ પડે અથવા બીજી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, તો અડવાણી પછી બીજા ક્રમે સુષમા સ્વરાજનો જ નંબર આવે છે કે જેઓ વિદિશાથી ચૂંટણી લડી રહ્યાં છે.
અમૃતસર
પંજાબનુ અમૃતસર પણ ચૌદના ચક્રવર્તીનો સારથિ બની શકે છે કે જ્યાંથી અરુણ જેટલી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપમાં વડાપ્રધાન પદની રેસમાં અરુણ જેટલીનો પણ સમાવેશ થાય જ છે.
લખનઉ
રાજનાથ સિંહમાં ક્યાં કોઈ ઉણપ છે? જો નરેન્દ્ર મોદીના વિકલ્પની વાત આવે, તો લખનઉથી ચૂંટણી લડતા રાજનાથ સિંહ પણ રેસમાં જોડાઈ શકે છે.