Delhi MCD Election Results: આજે દિલ્લી એમસીડી ચૂંટણી પરિણામ, 8 વાગે શરુ થઈ મતગણતરી
દિલ્લી નગર નિગમ ચૂંટણી 2022ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે.
Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમ ચૂંટણી 2022ના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી 42 કેન્દ્રોમાં મતગણતરી શરુ થશે. 10 હજારથી વધુ કર્મચારીઓ મતગણતરી કરશે. બધા વૉર્ડોમાં મતગણતરીના 5થી 10 રાઉન્ડ થશે. બપોરે એક વાગ્યા સુધીમાં બધા વૉર્ડોની મતગણતરીનુ કામ પૂરુ થઈ જશે. બપોર સુધી દિલ્લીની એમસીડી સરકારની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તમને જણાવી દઈએ કે દિલ્લી નગર નિગમની ચૂંટણીનુ મતદાન 4 ડિસેમ્બરે થયુ હતુ. ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો છે. જેમાંથી 709 મહિલાઓ છે.
દિલ્લીમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મતગણતરીનુંલાઈવ સ્ટ્રીમિંગ કાશ્મીરી ગેટ ચૂંટણી પંચની ઓફિસમાં ગોઠવવામાં આવ્યુ છે. કમિશનના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રોને કારણે પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કુલ 1.45 કરોડ મતદારોમાંથી 50.48 ટકા મતદારોએ આ ચૂંટણીમાં મતદાન કર્યુ છે. મતગણતરીના દિવસે કુલ 73.22 લાખથી વધુ મતોની ગણતરી કરવામાં આવશે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે. 2017ની નાગરિક ચૂંટણીમાં ભાજપે 270 વોર્ડમાંથી 181, AAPએ 48 અને કોંગ્રેસે 27 વોર્ડ જીત્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે MCD ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા 56,000 ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને રવિવારની મોડી રાત સુધી 42 કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે દિલ્લી નગર નિગમની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો છે. આ પહેલા થયેલી નગર નિગમની 11 ચૂંટણીમાંથી ભાજપે(જનસંઘ અને જનતા પાર્ટી) સાત વાર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસ ત્રણ વાર જીતવામાં સફળ રહી છે. સૌથી પહેલા કાપસહેડા વૉર્ડનુ પરિણામ આવવાની સંભાવના છે કારણકે સૌથી ઓછા રાઉન્ડ વૉર્ડ નંબર-132 કાપસહેડામાં હશે. આ વૉર્ડમાં માત્ર 18 પોલિંગ બૂથ છે. વળી, અહીં મતદારોની સંખ્યા પણ સૌથી ઓછી છે. નવાદાનુ પરિણામ સૌથી છેલ્લા આવવાની સંભાવના છે.
એમસીડીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસને શણગારવામાં આવી છે. મોડી રાત સુધી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સાઉન્ડ સિસ્ટમ, ખુરશીઓ અને બલૂન લગાવવામાં આવ્યા હતા. પરિણામ જોવા માટે પાર્ટી ઓફિસમાં જ મોટી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપના દિલ્લી એકમ કાર્યાલયમાં અંધકાર છવાઈ ગયો છે. પક્ષના નેતાઓને આશા છે કે મત ગણતરી દરમિયાન એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. આપના MCD ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્યુ હતુ કે, 'અમે એક્ઝિટ પોલની આગાહી કરતા વધુ સારા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.'