ભાજપ વિધાનસભા ચૂંટણીમાં કેમ કોંગ્રેસને નબળી નથી આંકી રહી?
હરિયાણા વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 21 ઓક્ટોબરે બંને રાજ્યોમાં મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણઆમ આવશે.
હરિયાણા વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 21 ઓક્ટોબરે બંને રાજ્યોમાં મતદાન થશે અને 24 ઓક્ટોબરે પરિણઆમ આવશે. તેની સાથે જ બિહારમાં રામવિલાસ પાસવાનના ભાઈ રામચંદ્ર પાસવાનના આકસ્મિક નિધનથી ખાલી થયેલી સમસ્તીપુર લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી થશે. આ બેઠક પરથી તેમના પુત્ર પ્રિંસ રાજ રાજગ ગઠબંધન હેઠળ લોજપાના ચિહ્ન પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે સંયુક્ત ગઠબંધન તરફથી લડી રહેલા કોંગ્રેસના અશોક રામને હરાવવાનો પડકાર છે.
કોંગ્રેસ આગળ
લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉઠાવેલો દરેક મુદ્દો તેના માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં એકતરફી જીત મેળવી હતી. તેમ છતાંય હરિયાણા અને મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ખૂબ જ મહેનત કરતું દેખાઈ રહ્યું છે. તેની પાછળ કેટલાક કારણ પણ છે. કોંગ્રેસ પોતાનું દરેક પગલું ફૂંકી ફૂંકીને મૂકી રહી છે. વાત ચૂંટણી ઢંઢેરાની હોય કે પછી પક્ષના આંતરિક અસંતોષને શાંત કરવાની કોંગ્રેસ ખૂબ જ ધ્યાન રાખી રહી છે. હરિયાણાની વાત કરીએ તો કોંગ્રેસ અહીં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરના પ્રકરણને પાછળ છોડીને શૈલજા કુમારીના નેતૃત્ત્વમાં સારું પ્રદર્શન કરતી હોય તેમ લાગી રહી છે. રાજકારણના અનુભવી હોવાની સાથે સાથે કોંગ્રેસ પક્ષનો મહિલા અને દલિત ચહેરો પણ છે. તેમણએ અધ્યક્ષ બનવાની સાથે જ અશોક તંવરની નારાજગીથી પક્ષને વિખેરાતો રોક્યો છે. હવે કોંગ્રેસ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના અનુભવી નેતૃત્ત્વમાં ચૂંટણી લડતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અચાનક આંતરિક કલહ છોડીને એક થઈ જતા ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, ખેડૂતો, દલિતોના હક અને રોજગાર, વૃદ્ધાઓને પેન્શન જેવા બેઝિક મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. જે આકર્ષક છે. સામે કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રવાદી મુદ્દા પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જે મુદ્દા ભાજપને ફાયદો કરે છે, તેના પર નિવેદન આપવાથી કોંગ્રેસ દૂર રહી છે.
હરિયાણામાં INLDની નબળી સ્થિતિ
હરિયાણામાં ભાજપની મુશ્કેલી આમ તો ભાજપે પણ સામાન્ય લોકો સુધી પહોંચતા મુદ્દા સંકલ્પ પત્રમાં ઉઠાવ્યા છે, પરંતુ તેના સંકલ્પ પત્રના મુદ્દા કોંગ્રેસના વિસ્તૃત દ્રષ્ટિકોણથી પાછળ લાગી રહ્યા છે. એટલે ભાજપને ચિંતા છે કે કોંગ્રેસના મુદ્દાને કારણે તેને ફાયદો ન થઈ જાય. સાથે જ ભાજપને એવો પણ ડર છે કે તેણે પોતાના પાછલા કાર્યકાળનો હિસાબ પણ આપવાનો છે, જેમાં ઘણા વિવાદાસ્પદ મુદ્દા છે. ખાસ કરીને ખેડૂતોના આંદોલનને ખટ્ટર સરકાર ક્યારેય યાદ કરવા નહીં ઈચ્છે. આ ઉપરાંત સીએમ મનોહર લાલ ખટ્ટરના કેટલાક વિવાદિત નિવેદનો પણ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. હરિયાણાં યોગેન્દ્ર યાદવની હિન્દ સ્વરાજ પાર્ટી પણ ખેડૂતોના મુદ્દે ચૂંટણી લડી રહી છે. હિન્દ સ્વરાજ પાર્ટી ભલે ગમે તેટલું સારું પ્રદર્શન કરી લે, તે સારું પ્રદર્શન ખટ્ટર સરકારને જ નજશે. સાથે જ હરિયાણામાં INLDની નબળી સ્થિતિ અને જાતિ વર્ગના મજબૂત સમીકરણને કારણે કોંગ્રેસને જ ફાયદો થવાની આશા છે. ભાજપ આ મુદ્દા સમજે છે, એટલે તે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષને નબળો નથી માની રહી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ
જો આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણી જોઈએ તો કોંગ્રેસે અહીં પણ સામાન્ય લોકોને સ્પર્ષતા મુદ્દાને અગ્રતા આપી છએ. કોંગ્રેસે મહારાષ્ટ્રને દુષ્કાળથી મુક્ત કરવાનો રોડમેપ મુક્યો છે, જે અગત્યનો મુદ્દો છે. આ મુદ્દો ખેડૂતો સાથે જોડાયેલો છે. આ મુદ્દો કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે. સાથે કોંગ્રેસે શિક્ષકોના પદ પર ભરતી અને કામદારોના વેતનમાં વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કહી શકાય કે કોંગ્રેસે સંકલ્પ પત્રમાં પોતું વિઝન સ્પષ્ટ રાખ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પક્ષે પોતાની અંદરના કહલની શક્યતાઓ દાટી દીધી છે. લોકસભા ચૂંટણી બાદના આંતરિક વિખવાદને પક્ષ પાછળ છોડી ચૂક્યો છે.
મહારાષ્ટ્રમાં ભાજપની મુશ્કેલી
તો ભાજપને પોતાના સંકલ્પ પત્રમાં મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે અને વીર સાવરકરને ભારત રત્ન આપવાની પાર્ટીની માગ રાખી છે. ભાજપે ખેડૂતો માટે પણ વાત કરી છે, જેમાં નદીઓને જોડવાની વાત, વીજળી સેવા સુધારવાની વાત છે, પરંતુ ભાજપે આ યોજનાઓને વિસ્તૃત રીતે નથી દર્શાવી. સત્તામાં હોવાને કારણે ભાજપ-શિવસેના સરકારે પોતાનો હિસાબ પણ આપવાનો છે. ખેડૂતો માટે કરેલા કામનો હિસાબ ખેડૂતો અને જનતા કરશે. સાથે જ તાજેતરના આરે જંગલ વિવાદની પણ અસર પડી શકે છે. ભાજપ આ મુદ્દા બરાબર સમજે છે. એટલે જ લોકસભા ચૂંટણીમાં મજબૂત જીત મેળવનાર ભાજપ વિધાનસભામાં કોંગ્રેસને નબળી નથી આંકી રહી.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણીઃ જાતિ-વર્ગના સમીકરણને કારણે કોંગ્રેસને થઈ શકે છે ફાયદો