NTA કેમ NEETનું પરિણામ જાહેર નથી કરી રહી? આ રહ્યું કારણ!
અપેક્ષા હતી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ આ મહિને પરિણામ જાહેર કરશે. હવે NTA NEET પરિણામમાં વિલંબનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
નવી દિલ્હી, 26 ઓક્ટોબર : અપેક્ષા હતી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) NEET પ્રવેશ પરીક્ષાનું પરિણામ આ મહિને પરિણામ જાહેર કરશે. હવે NTA NEET પરિણામમાં વિલંબનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. NTA એ બે ઉમેદવારો માટે પુનઃ પરીક્ષા લેવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. કેન્દ્રએ કહ્યું કે તેમને NEET પરીક્ષાનું પરિણામ તૈયાર કરી લીધું છે પરંતુ હજુ પણ તે પરિણામ જાહેર કરવામાં અસમર્થ છે. NTAએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે NEET પરિણામ જાહેર કરવામાં વિલંબથી MBBS, BDS, BAMS, BSMS, BUMS અને BHMS જેવા અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા પ્રભાવિત થશે.
NTA એ NEET 2021 પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર ન કરવા અને તેના માટે પુનઃપરીક્ષા હાથ ધરવા માટેના બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે પોતાના આદેશમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીને કહ્યું છે કે જે બે ઉમેદવારોના પ્રશ્નપત્ર અને ઓએમઆર શીટ ખોટા સીરીયલ નંબરો સાથે આપવામાં આવ્યા છે તેમની પરીક્ષા ફરીથી યોજવામાં આવે અને તે બાદ બે અઠવાડિયા પછી NEET પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવે. આ ઘટના મહારાષ્ટ્રના એક કેન્દ્રમાં NEET 2021ની પ્રવેશ પરીક્ષા દરમિયાન બની હતી.
બોમ્બે હાઈકોર્ટને સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે NEET પરીક્ષા દરમિયાન ઉમેદવારોને સમાન કોડ અને સમાન સાત અંકના સીરીયલ નંબરવાળા પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ આપવામાં આવે છે. પરંતુ નિરીક્ષકોના મિશ્રણને કારણે અરજદારો સહિત કેટલાક વિદ્યાર્થીઓને અલગ કોડ અને સીરીયલ નંબરો સાથેના પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ મળી હતી.
અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ પૂજા થોરાટે જણાવ્યું હતું કે અરજદારો (વિદ્યાર્થીઓ)એ પરીક્ષા કેન્દ્રમાં જ ગરબડ દેખાડી હતી. પરંતુ પરીક્ષકે તેને પરીક્ષા ખંડમાં ખલેલ પહોંચાડવા અને અયોગ્ય વર્તન માટે રિપોર્ટ કરવાની ધમકી આપી હતી. NTA તરફથી હાજર રહેલા એડવોકેટ રુઈ રોડ્રિગ્સે હાઈકોર્ટને જણાવ્યું હતું કે અરજદારોની પુનઃપરીક્ષા સંભવ નથી. જો કે ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે પ્રતિવાદીઓની ભૂલને કારણે અરજદારોને નુકસાન નહીં થાય.
બોમ્બે હાઈકોર્ટની બેન્ચે NTAને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બે અરજદારો માટે ફરી પરીક્ષાઓ યોજવા અને તેના પરિણામો બે અઠવાડિયામાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્ણયને હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને આ મામલે જલ્દી સુનાવણી કરવાની વિનંતી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે હવે અરજદારોના નિવેદનોમાં વિસંગતતાનો આક્ષેપ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય ઉમેદવારો માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનો અયોગ્ય ફાયદો ઉઠાવવા માટે એક ખોટો દાખલો બેસાડશે.