નવી દિલ્હી, 2 મે: ચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસે હવે ગુજરાતમાં મહિલા જાસૂસીની તપાસનો રાગ ફરી આલાપ્યો છે. કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે મોદી પર નિશાનો સાધતા જણાવ્યું કે મહિલા જાસૂસી કાંડની તપાસથી ભાજપ ડરી ગઇ છે. સિબ્બલના જણાવ્યા અનુસાર ભાજપ નેતા એવું શા માટે કહી રહ્યા છે કે જજ મહિલા જાસૂસી કાંડની તપાસ ના કરે.
સિબ્બલનો દાવો છે કે જો તપાસ થઇ તો ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારનો ભેદ ખુલી જશે અને તેઓ ઉઘાડા પડી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા અરૂણ જેટલીએ અપીલ કરી હતી કે કોઇ જજ આ કેસની તપાસ ના કરે. જેટલીએ જણાવ્યું હતું કે હું આશા રાખું છું કે ન્યાયિક સન્માન ખાતર કોઇ જજ આ તપાસ પંચને હેન્ડલ કરવા રાજી ના થાય.
અત્રે નોંધનીય છે કે આ પહેલા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ એવું કહી ચૂક્યા છે કે આ મામલાની તપાસ માટે કોઇ જજની વરણી કરવાથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નહીં થાય. તેને લઇને ટૂંક સમયમાં કેબિનેટ મિટિંગ થઇ શકે છે.