યુએસના નિવેદનથી વધી ‘મોદીને વીઝા’ વિરોધીઓની મુઝવણ
વોશિંગટન, 25 જુલાઇઃ એક તરફ ભારતમાં મોદી અને યુએસ વીઝાને લઇને વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકાએ એવું નિવેદન કર્યું છે કે, જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વીઝા માટે એપ્લાય કરશે તો અમેરિકન ઇમિગ્રેશન લો અને પોલીસી અનુરૂપ તેમની અરજી પર વિચાર વિમર્શ કરવામા ંઆવશે
યુએસ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામા આવ્યા બાદ મોદીને વીઝા ના મળે તે માટે ઓબામાને પત્ર લખાનારાઓ ચોક્કસપણે મુઝવણમાં મુકાયા હશે. એક તરફ મોદીને વીઝાને લઇને લખવામાં આવેલા પત્રમાં ખોટી રીતે સાહી લેવામાં આવી હોવાનો વિવાદ ઉભો થયો છે અને તેના કારણે પત્ર લખાનારા સાંસદોને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેની વચ્ચે યુએસના આ નિવેદને તેમને વધુ એક પછડાટ આપી છે.
પત્રકારો સાથે વાત કરતા સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા જે પ્સાકીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વીઝા માટે અરજી કરશે તો, તેઓ યુએસ ઇમિગ્રેશન લો અને પોલીસી હેઠળ વીઝા મેળવવા માટે હકદાર છે કે નહીં તે અંગે વિચાર કરવામાં આવશે.
નોંધનીય છે કે, જ્યારથી રાજનાથ સિંહ અમેરિકા ગયા છે અને મોદીને વીઝાનો મુદ્દો બહાર આવ્યો છે, ત્યારથી ચર્ચા જાગી છે. એક તરફ રાજનાથ સિંહ મોદીને વીઝા અંગે અમેરિકા સાથે ચર્ચા કરવાની વાતો કરી રહ્યાં હતા તો બીજી તરફ 65 જેટલા સાંસદો દ્વારા મોદીને વીઝા નહીં આપવા અંગે ઓબામાને પત્ર લખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું, એટલું જ નહી ંપરંતુ તેમાથી કેટલાક સાંસદોએ કહ્યું છે કે તેમની ખોટી રીતે સાહી લઇ લેવામાં આવી છે.