યાસીન ભટકલને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ
પટણા, 30 ઓગસ્ટ : બિહારમાં મોતીહારી શહેરના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ એસ સી મિશ્રાએ ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાપક ત્રાસવાદી યાસીન ભટકલ અને તેના સાગરિત અસાદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાખવાની પોલીસને મંજૂરી આપી છે.
ગુપ્તચરોએ ભારત-નેપાળ સરહદેથી આ બંને ત્રાસવાદીને પકડ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સુપરત કર્યા હતા. એજન્સીએ તે બંનેને સીજેએમની કોર્ટમાં હાજર કર્યા હતા. બિહાર પોલીસ અને એનઆઈએના અધિકારીઓએ સઘન પૂછપરછ કર્યા બાદ બંને ત્રાસવાદીને મોડી સાંજે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ મિશ્રાની કોર્ટમાં હાજર કરાયા હતા.
યાસીન ભટકલ અને અસાદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને પકડવાનું સમગ્ર ઓપરેશન ઈન્ટેલિજન્સ બ્યૂરોએ હાથ ધર્યું હતું. તેણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગ (રૉ) પાસેથી મેળવેલી માહિતીને આધારે બંને ત્રાસવાદીને પકડ્યા છે અને આ કામગીરીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સહિત કોઈ પણ પોલીસ દળનો સમાવેશ કરાયો નહોતો.
યાસીન અને અખ્તરને પકડી લીધા બાદ ગુપ્તચર બ્યૂરોએ બંનેની સોંપણી બિહાર પોલીસને કરી દીધી હતી, કારણ કે ભારતમાં કોઈની ધરપકડ કરવાની સત્તા ગુપ્તચર એજન્સીઓને નથી. બંને ત્રાસવાદીને બિહારના બેટીઆહમાં લઈ જવામાં આવ્યા છે. પકડાયેલો શખ્સ યાસીન ભટકલ છે કે કેમ તે માટે સુરક્ષા એજન્સીઓએ તેના પરિવારજનોના ડીએનએ એકત્ર કરવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ તેમના અને પકડાયેલા શખ્સના ડીએનએનું મેચિંગ કરાશે.
યાસીન ભટકલને ગુજરાત પોલીસે પણ વોન્ટેડ જાહેર કર્યો છે. 2008માં અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં અમદાવાદ પોલીસ ભટકલની કસ્ટડી લેવાની તૈયારી કરી રહી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં મુખ્ય આરોપી એવો યાસીન વિસ્ફોટોના 35 જેટલા અપરોધોમાં મોસ્ટ વોન્ટેડ છે.