ખેડૂત આંદોલન વચ્ચે યોગી સરકારની શેરડીના ટેકાના ભાવ વધારવાની જાહેરાત!
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથે કિસાન સંમેલનમાં સંબોધન કરતી વખતે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. આ સાથે ખેડૂતોના હિતમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી.
લખનઉ, 26 સપ્ટેમ્બર: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથે કિસાન સંમેલનમાં સંબોધન કરતી વખતે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. આ સાથે ખેડૂતોના હિતમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલા ખેડૂતો સાથે સંબંધિત શેરડીના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. ખેડૂતોને સંબોધતા તેમણે કહ્યું કે શેરડીના ટેકાના ભાવ જે અગાઉ 325 હતા તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે શેરડીનો ટેકાનો ભાવ 350 રૂપિયા છે. અહીં નોંધવું જોઇએ કે ત્રણ વર્ષથી વધુ સમયથી શેરડીના ભાવમાં કોઈ વધારો થયો ન હતો.
રવિવાર 26 સપ્ટેમ્બરના રોજ કિસાન સંમેલનને સંબોધતા સીએમ યોગીએ કહ્યું હતું કે, ખેડૂતો અગાઉની સરકારોના એજન્ડામાં નહોતા. અગાઉની સરકારોએ યુપીની ખાંડ મિલો વેચવાનું પાપ કર્યું હતું, જેની ભરપાઈ ભાજપ સરકારે કરી છે. આજે ખેડૂતોને સરકારના એજન્ડામાં સમાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકારોએ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લીધો ન હતો. પરંતુ અમે સરકાર રચ્યા પછી શેરડીના ખેડૂતો માટે ઘણા પગલા લેવામાં આવ્યા. જૂની સરકારો દ્વારા જે ખાંડ મિલો વેચી અથવા બંધ કરવામાં આવી હતી તેને ભાજપ સરકારે ફરી શરૂ કરવા માટે કામ કર્યુ છે.
સીએમ યોગીએ કહ્યું કે, જ્યારે સરકાર રચાઈ ત્યારે શેરડીના ખેડૂતોના ઘણા રૂપિયા બાકી હતા. શેરડી વાવેતરનો વિસ્તાર સતત ઘટી રહ્યો હતો. ખાંડના માલિકો સાથે મળીને બંધ મિલો શરૂ કરવામાં આવી. સરકારે 119 સુગર મિલો શરૂ કરવાનું કામ કર્યું. સપા અને બસપા સરકારોએ શેરડીના ખેડૂતો સાથે ઘણી મજાક કરી હતી. બંને સરકારોના પાપને કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષે હંમેશા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું. ખેડૂતો સાથે હંમેશા સાવકો માતૃભાવ રાખ્યો. અમારી સરકારમાં ખેડૂતોએ આત્મહત્યા કરી નથી.
સંભોધન કરતા તેમણે કહ્યું કે, જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હતો ત્યારે SP, BSP અને કોંગ્રેસના લોકો ક્યાં હતા? સીએમ યોગીએ કહ્યું કે બહુજન સમાજવાદી સરકાર દરમિયાન 21 ખાંડ મિલો બંધ થઈ હતી. તેને ખાંડ મિલોને મફતના ભાવે વેચી દીધી હતી. 250-300 કરોડની ખાંડ મિલોને 25-30 કરોડમાં વેચવાનું કામ કરવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટીની સરકારમાં 11 ખાંડ મિલો બંધ હતી. અમે બંધ ખાંડ મિલો ચલાવવાનું કામ કર્યું. અમે ખાંડ મિલોમાં નવા પ્લાન્ટ સ્થાપીને શરૂઆત કરી, જે SP, BSP સરકારોએ વેચવાનું કામ કર્યુ હતુ.
કિસાન સંમેલનમાં બોલતા સીએમ યોગીએ કહ્યું કે, જો આપણે ઘઉંની ખરીદીની વાત કરીએ તો અગાઉની સરકારે 19,02,098 ખેડૂતોને 12,808 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. અમારી સરકારે 43,75,574 ખેડૂતોને તેમના ખાતામાં 36,504 કરોડ રૂપિયાની ઘઉંની ચુકવણી કરી છે. છેલ્લા 4.5 વર્ષમાં અમે ખેડૂતો પાસેથી અનાજની રેકોર્ડ ખરીદી કરી છે. અગાઉની સરકારો પણ તે કરી શકતી હતી. અગાઉની સરકારોને પૂછવું જોઈએ કે તેઓએ ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વ્યવસ્થા કેમ નથી કરી?