ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા કરાઈ બંધ
Junagadh News: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો છે, ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો હોવાની વાત સામે આવી છે, વરસાદના સમયે અને શિયાળાના સમય દરમિયાન જયારે ભારે પવન ફૂંકાતો હોય છે ત્યારે રોપ-વે સેવા બંધ કરવામાં આવે છે, વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપ-વે સેવા ફરી કરાશે શરૂ અને રોપ-વે સેવા બંધ થતા અનેક પ્રવાસીઓને પડી રહી છે મુશ્કેલી.

વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. સાથે ગિરનારના જંગલમાં પણ છેલ્લા 4 દિવસથી પવની ઝડપ વધી રહી છે જેના કારણે રોપ-વેનું સંચાલન બંધ કરાયું છે. ઉષાબ્રેકો કંપની સંચાલિત રોપ- વેના જૂનાગઢના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંઘ બેદીએ જણાવ્યું હતું કે, ભારે પવન ફૂંકાવાના કારણે હાલમાં રોપ-વેની સેવા બંધ રહી છે, જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપ-વે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.
જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ-વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. આમ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
