અરવિંદ કેજરીવાલે 'Z સિરીઝ'ની સુરક્ષા લેવાની કરી મનાઇ
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: 15 દિવસના લાંબી માથાકૂટ બાદ દિલ્હીમાં સરકાર બનવાનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે, પરંતુ કેટલીક વસ્તુઓને લઇને હજુ સુધી કોકડું ગુંચવાયેલું છે. એમાંની એક વાત છે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલની સુરક્ષા. દિલ્હી પોલીસ તેમને સુરક્ષા પુરી પાડવા માંગે છે. પરંતુ અરવિંદ કેજરીવાલને સુરક્ષા જોઇતી નથી.
દિલ્હીના ભાવી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસની કડક સુરક્ષા લેવાની મનાઇ કરતાં કહ્યું હતું કે ભગવાન સૌથી મોટી સુરક્ષા પુરી પાડનાર છે. દિલ્હીના અધિક કમિશનર (સુરક્ષા) વી. રંગનાથને અરવિંદ કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે દિલ્હી પોલીસ દિલ્હીના મુખ્યમંત્રીને સુરક્ષા પુરી પાડે છે જે 'Z સિરીઝ'ના લેવલની હોય છે.
દિલ્હી પોલીસના અધિકારીઓના માધ્યમથી મોકલવામાં આવેલા પત્રમાં તેમને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યાં છે, દિલ્હી પોલીસના નિયમો હેઠળ તેમને સુરક્ષા પુરી પાડવાની જરૂરિયાત છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી પોલીસને જવાબમાં ધન્યવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને કોઇપણ પ્રકારની સુરક્ષાની જરૂરિયાત નથી, ના તો એસ્કાર્ટ અને ના તો અંગત સુરક્ષાની. તેમને કહ્યું હતું કે ભગવાન બધાનો રખવાળો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી હવે સરકાર બનાવવા જઇ રહી છે. આ સરકારના મુખિયા અરવિંદ કેજરીવાલ હશે. તેની જાણકારી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આપી હતી. અરવિંદ કેજરીવાલે સોમવારે બપોરે સાડા બાર વાગે દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત કરી અને શપથ ગ્રહણની તારીખ તથા સ્થળનો પ્રસ્તાવ મૂક્યો હતો. મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ કરશે.