વધુ એક વખત દિલ્હીમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટકરાવ, જાણો શું છે પુરો વિવાદ?
મુકેશ ગોયલ 1997થી પાર્ષદ છે અને છઠ્ઠી વખત પાર્ષદ બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રોટેમ સ્પીકર તરીકે તેમનું નામ આપ્યુ હતુ.
નવી દિલ્હી : દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચેની બબાલ પુરૂ થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના દિલ્હી નગર નિગમના મેયરની ચૂંટણીને લઈને સામસામે આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, દિલ્હી સરકારે પ્રોટેમ સ્પીકર તરીકે પાર્ષદ મુકેશ કુમારનું નામ આપ્યુ હતું. જો કે રાજ્યપાલે તેની જગ્યાએ બીજેપીના પાર્ષદ સત્યા શર્માને નિયુક્ત કર્યા હતા. હવે આ મુદ્દે કેજરીવાલ સરકાર અને રાજ્યપાલ સામસામે આવ્યા છે.
મુકેશ ગોયલ 1997થી પાર્ષદ છે અને છઠ્ઠી વખત પાર્ષદ બન્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રોટેમ સ્પીકર તરીકે તેમનું નામ આપ્યુ હતુ. જો કે એલજીએ મુકેશ કુમારનું નામ નામંજુર કરીને સત્યા શર્માને પ્રોટેમ સ્પીકર બનાવી દેતા વિવાદ સર્જાયો છે.
સત્ય શર્મા ત્રીજી વખત ભાજપમાંથી પાર્ષદ બની છે. સીલમપુર વિધાનસભા વોર્ડમાંથી 2007માં પ્રથમ વખત કાઉન્સિલર ચૂંટાયા બાદ તે 2012માં પણ ફરીથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ હતી. ફરી આ વખતે 2022માં પણ ભાજપે સત્યા શર્મા પર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને જાળવી રાખીને સત્યા શર્મા ફરી એકવાર ચૂંટણી જીતી. સત્યા શર્મા વર્ષ 2016માં મેયરનું પદ સંભાળી ચુક્યા છે.
હવે આમ આદમી પાર્ટી સત્યા શર્માની નિયુક્તીને લઈને વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે નિર્ણયનો વિરોધ કરતા ટ્વિટર પર લખ્યુ કે, પરંપરા રહી છે કે પ્રોટેમ સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સૌથી વરિષ્ઠ સભ્યની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ ભાજપ તમામ લોકશાહી પરંપરાઓ અને સંસ્થાઓને નષ્ટ કરવા માટે સતત કામ કરી રહ્યું છે.