કોરોના સંક્રમણ વચ્ચે હવે આ રોગની એન્ટ્રી, એક મહિલાનું મોત
સિંહોર તાલુકાના એક ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરથી દર્દીનું મોત થતાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા શુક્રવારના રોજ પશુપાલકો તેમજ પશુઓના સેમ્પલ લીધા છે.
ભાવનગર : સિંહોર તાલુકાના એક ગામમાં શંકાસ્પદ કોંગો ફીવરથી દર્દીનું મોત થતાં ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા શુક્રવારના રોજ પશુપાલકો તેમજ પશુઓના સેમ્પલ લીધા છે. રામધારી ગામની વતની 58 વર્ષીય મહિલા પુરી ગોહિલને તાવ આવતા શિહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ગોહિલનું ગુરુવારના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, પરંતુ વહીવટી તંત્રને તેના મૃત્યુ બાદ જ તેના રક્ત પરીક્ષણ (બ્લડ ટેસ્ટ રિપોર્ટ) નું પરિણામ મળ્યું હતું. આ રિપોર્ટ્સ દર્શાવે છે કે, તે કોંગો ફીવરથી પીડિત હોય શકે છે.
પશુપાલકોને સુરક્ષિત રાખવા માટે પશુપાલન અને આરોગ્ય વિભાગની દસ ટીમ નજીકના વિસ્તારોમાં દોડી આવી હતી અને શંકાસ્પદ પ્રાણીઓ અને લોકોના કોંગો ફીવરના રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા. તેઓએ જંતુઓનો નાશ કરવા માટે પેસ્ટ કંટ્રોલનું વિતરણ પણ કર્યું હતું.
અધિકારીઓ દ્વારા મૃતકના ઘરની આસપાસના 540 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે અને 2,243 લોકો અને 672 પ્રાણીઓની તપાસ કરવામાં આવી છે. તાવમાં સપડાયેલા આઠ લોકોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓએ લોકોને આ રોગને ગંભીરતાથી લેવા અને તેના ફેલાવાને રોકવા માટે વહીવટી તંત્રને સહકાર આપવા જણાવ્યું છે. કોંગો ફીવર એ વેક્ટર જન્ય રોગ છે, જે પ્રાણીનું લોહી ચૂસતા ખાસ જંતુઓ (જુઆ) દ્વારા ફેલાય છે. જો આવી જંતુ માણસોને કરડે તો તેઓ પણ બીમાર પડી શકે છે અને 30 ટકા કેસમાં દર્દીઓ મૃત્યુ પામે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો કોંગો ફીવર માટે સૌથી વધુ સંવેદનશીલ છે.
જાણો શું છે કોંગો ફીવર?
ક્રિમિઅન કોંગો હેમોરહેજિક ફીવર, જેને સામાન્ય રીતે કોંગો ફીવર તરીકે ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે બગાઇ અને પશુધન પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે અને મધ્ય પૂર્વ, આફ્રિકા, બાલ્કન્સ અને એશિયામાં તેને સ્થાનિક માનવામાં આવે છે. માનવ થી માનવ ટ્રાન્સમિશન સંક્રમણગ્રસ્ત બગાઇ અથવા પ્રાણીના લોહીના સંપર્ક દ્વારા થઈ શકે છે. ટિક બોર્ન વાયરસ, જે સંક્રમણનું કારણ બને છે, તે બુન્યાવિરિડે ફેમિલીનો છે.
યુએસ સ્થિત સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, વાયરસ સૌપ્રથમ 1944 માં ક્રિમિયામાં અને તે બાદ 1969 માં આફ્રિકાના કોંગોમાં નોંધાયો હતો.
CCHF ના દર્દીઓમાં સામાન્ય વાયરલ તાવ, માથાનો દુઃખાવો, પીઠનો દુઃખાવો, સાંધામાં દુઃખાવો, પેટમાં દુઃખાવો, ઉલટી, લાલ આંખો અને ઉંચો તાવ જેવા લક્ષણો જોવા મળે છે.
મોટે ભાગે પશુધન કામદારો, પશુપાલકો અને કતલખાનામાં કામ કરતા હોય તેવા લોકો વાયરસના સંપર્કમાં આવવાનું જોખમ ધરાવે છે. CCHF માટે સ્થાનિક દેશોમાં જતા પ્રવાસીઓ પણ એક્સપોઝરનું જોખમ ધરાવે છે.
વાયરસની પુષ્ટિ કરવા માટે ઉપયોગમાં લેવાતા કેટલાક ડાયગ્નોસ્ટિક પરીક્ષણો એન્ટિજેન ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે અને સીરમ ન્યુટ્રાલાઈઝેશન છે. મનુષ્યો અથવા પ્રાણીઓ માટે કોઈ રસી અસ્તિત્વમાં ન હોવાથી, સારવાર વર્તમાન લક્ષણો માટે સહાયક સંભાળ સુધી મર્યાદિત છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંક્રમણને ઘટાડવા માટે લાંબી બાંયના રક્ષણાત્મક કપડાં પહેરવા, ચામડી અને કપડાં પર જીવડાં વિરોધી દ્વવ્યનો ઉપયોગ કરવો અને પ્રાણીઓને કતલખાનામાં લાવવામાં આવે તે પહેલાં તેમને અલગ રાખવા જેવા ઘણા નિવારક પગલાંની દરખાસ્ત કરે છે.