સુરતમા ધંધાકીય વિવાદોના સમાધાન માટે મધ્યસ્થી કેન્દ્ર શરૂ કરાશે!
ઔદ્યોગિક શહેર સુરતમાં ધંધાકીય વિવાદો પણ મોટી સંખ્યામાં સામે આવે છે. આવી સ્થિતિમાં પરસ્પર સમજૂતીથી આ બાબતોનું સમાધાન કરવા માટે સુરતમાં મધ્યસ્થી કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સુરત : ઔદ્યોગિક શહેર સુરતમાં ધંધાકીય વિવાદો પણ મોટી સંખ્યામાં સામે આવે છે. આવી સ્થિતિમાં પરસ્પર સમજૂતીથી આ બાબતોનું સમાધાન કરવા માટે સુરતમાં મધ્યસ્થી કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી બે-ત્રણ મહિનામાં આ સેન્ટર કાર્યરત થવાની ધારણા છે.
કાઉન્સિલ ફોર આર્બિટ્રેશન એન્ડ મિડિએશન (CAM) ને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, હવે અહીં વ્યાપારી વિવાદો સમાધાન દ્વારા ઉકેલી શકાશે. જે અંતર્ગત સુરત જેવા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ સેન્ટરમાં મધ્યસ્થી કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, CAMમાં છેતરપિંડી, હુમલો, ધાકધમકી જેવા કેસ દાખલ કરી શકાતા નથી. જો ટ્રાન્ઝેક્શનને લઈને વેપારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તો તેનું સમાધાન આર્બિટ્રેશન મધ્યસ્થી કેન્દ્ર દ્વારા લાવી શકાય છે. સેન્ટર શરૂ થતાં કોર્ટ કાર્યવાહીના વધારાના ખર્ચને બદલે માત્ર 3 થી 10 હજાર રૂપિયામાં સમસ્યા હલ થશે.
આર્બિટ્રેશન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આર્બિટ્રેશન એન્ડ કાઉન્સિલ એક્ટ 1996 હેઠળ સુરત સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. સુરત ચેપ્ટરના ચેરમેન તરીકે સીએ દિનેશ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવનાર છે. પેનલ દ્વારા વિવાદોનું સમાધાન કરવામાં આવશે. આર્બિટ્રેશન દ્વારા નિર્ણય લેતી વખતે કોઈપણ પક્ષકારને અન્યાય ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
આર્બિટ્રેશનની રચના કર્યા બાદ એક પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલમાં 10 ઉદ્યોગપતિઓ, 10 વકીલો અને 10 CA હશે. જેવો કોઈ વેપારીનો કેસ આવશે ત્યારે સૌ પ્રથમ પેનલના સભ્યોની યાદી વેપારીને મોકલવામાં આવશે, જેમાંથી વેપારી પોતે તેમાંથી પોતાનો પ્રતિનિધિ નક્કી કરશે. આ પછી ત્રણ લોકોની પેનલ મામલાની સુનાવણી કરશે અને વિવાદનું સમાધાન કરવામાં આવશે.