દક્ષિણ ગુજરાતમાં DGVCL ની ત્રણ નવી વિભાગીય કચેરીઓ બનશે, રાજ્ય સરકારે પરવાનગી આપી!
રાજ્ય સરકારે રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓબનાવવા મંજૂરી આપવામાં આવી છે.
bગાંધીનગર : રાજ્ય સરકારે રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે ધરમપુર, કીમ અને વઘઇ એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓબનાવવા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સુરત, ડાંગ અને વલસાડ જીલ્લાના દૂરસુદૂર વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને ઉત્તમ વીજ સેવા પૂરી પાડવામાં મદદ મળશે.
આ અંગે વધુ વિગતો આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, તાજેતરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળની વાપી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન ધરમપુર વિભાગીય કચેરી, કડોદરા વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન કીમ વિભાગીય કચેરી અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીનું વિભાજન કરીને નવીન વઘઇ વિભાગીય કચેરી એમ ત્રણ નવીન વિભાગીય કચેરીઓ બનાવવામાં આવશે.
નવીન ધરમપુર વિભાગીય કચેરી વલસાડ જીલ્લામાં, નવીન કીમ વિભાગીય કચેરી સુરત જીલ્લામાં અને નવીન વઘઇ વિભાગીય કચેરી ડાંગ જીલ્લામાં બનશે. નવીન કીમ વિભાગીય કચેરી બનવાને કારણે કરંજ, મોટા વરાછા, કીમ વગેરે વિસ્તારોના વીજ ગ્રાહકોને વિભાગીય કચેરીને લગતા કામ માટે કડોદરા જવું પડતું હતું જેને બદલે હવેથી કીમ ખાતે મંજૂર થયેલ નવીન કચેરીથી વીજ ગ્રાહકોને વીજ સેવાઓ મળશે. વાપીથી કપરાડા સુથારપાડા, નાનાપોંઢા, ધરમપુર વગેરે વિસ્તારો વાપીથી ૭૦ કીમીથી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને અગવડ પડતી હતી, જેથી સરકાર દ્વારા ભૌગોલિક અનુકૂળતા રાખવા માટે નવીન ધરમપુર વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે.
નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરી હેઠળના વાસદા, પીપલખેડ, વઘાઈ, આહવા, સાપુતારા, અનાવલ વિસ્તારો નવસારીથી ૧૦૦ કીમીથી વધુ દૂર હોવાને કારણે ગ્રાહકોને નજીકના સ્થળે થી વીજ સેવાઓ મળી રહે તે માટે નવીન વઘઇ વિભાગીય કચેરી મંજૂર કરવામાં આવેલ છે. નવીન ધરમપુર વિભાગીય કચેરી અને નવીન વઘઇ વિભાગીય કચેરીને કારણે આદિવાસી તેમજ જંગલ વિસ્તારોમાં રહેતા વીજ ગ્રાહકોને પણ ખૂબ મોટો લાભ મળશે.
રાજ્યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે બનાવવામાં આવેલ નવીન પેટા વિભાગીય કચેરીઓ અંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યુ કે, છેલ્લા એક વર્ષમાં સમગ્ર રાજયમાં ૧૬ પેટાવિભાગીય કચેરીઓ બનાવવામાં આવી છે જે પૈકી દક્ષિણ ગુજરાતમાં ૬, ઉત્તર ગુજરાતમાં ૫, મધ્ય ગુજરાતમાં ૩ અને પશ્ચિમ ગુજરાતમાં ૨ નવીન કચેરીઓ બનાવવામાં આવી છે.
રાજ્યના વીજ ગ્રાહકોને સારી વીજ સેવાઓ ઉપરાંત ગુણવત્તા યુક્ત અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો પણ મળી રહે તે માટે છેલ્લા એક વર્ષમાં ૧૦૬ નવીન સબ સ્ટેશન બનાવવામાં આવેલ છે તથા વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧૦ નવીન સબ સ્ટેશન બનાવવાનું આયોજન છે.