વલસાડના નવનિર્મિત એસટી ડેપોનું લોકાર્પણ કરાયુ!
વલસાડ ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
વલસાડ ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ૪.૧૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ એસટી બસ સ્ટેશનમાં વાપી જીઆઈડીસીમાં નોકરી કરતા કર્મચારીઓને આવવા જવામાં સરળતા રહે તે માટે 'કર્મયોગી રથ’ના ખાસ નામથી વિવિધ બસ ડેપોમાંથી વધારાના ૬ રૂટ ઉપર ૩૪ ટ્રીપની બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
નવીન બસ ડેપોને જાહેર જનતાના લાભાર્થે ખુલ્લું મૂકી અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, બસનું માધ્યમ ગુજરાતમાં પરિવહન માટે ખૂબ મોટું અને મહત્વનું અંગ છે. સમગ્ર ભારતમાં એરપોર્ટ જેવી વિવિધ સુવિધાયુક્ત બસ ડેપોના સમગ્ર ગુજરાતભરમાં નિર્માણ થયા છે. તેવી જ રીતે આ નવીન બસ ડેપો પણ અનેક સુવિધાથી લોકોની સેવા કરવા માટે સજ્જ છે. સરકારનું ધ્યેય દરેક તાલુકા કક્ષાએ તમામ સુવિધા ધરાવતા નવીન બસ ડેપોનું નિર્માણ અને ડેપોનું નવીનીકરણ કરવાનું છે જે કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. કર્મયોગી રથ દ્વારા કર્મચારીઓને નોકરી માટે આવતા જવર કરવા માટે સરળતા થશે. આ એક સિદ્ધિ જ છે કે સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જે ચારેય કનેક્ટિવટી જેવી કે હવાઈ, રેલવે, દરિયાઈ અને માર્ગની સુવિધા ધરાવે છે. ગરીબો માટે એસટી બસ સુવિધાનું એક સાધન છે જે સરકાર સેવાના કાર્ય તરીકે કરી રહી છે. તેથી જ ગુજરાતમાં એક દિવસમાં ૨૫ લાખ લોકો એસટી બસ સેવાનો લાભ લઈ મુસાફરી કરી રહ્યા છે. લોકોની સુવિધા વધારવા દરિયાઈ પટ્ટીમાં ઉમરગામથી નારાયણ સરોવર સુધી ૧૦ મીટર પહોળા કોસ્ટલ હાઇવે નિર્માણનું આયોજન થઈ રહ્યું છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકા શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશ ઠાકોર, નગરપાલિકા પ્રમુખ કિન્નરી પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.