બાંગ્લાદેશમાં 2009ના બળવા માટે 152 સૈનિકોને મૃત્યુદંડ
ઢાકા, 6 નવેમ્બર : વિશ્વના હચમચાવી દેનારા કેસો પૈકી એક કેસમાં બાંગ્લાદેશની કોર્ટે આપેલા ચૂકાદાએ વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. વિશ્વના સૌથી મોટા અપરાધી કેસમાંના એક કેસ વર્ષ 2009ના સૈનિક બળવામાં ભૂમિકા બદલ બંગલાદેશની કોર્ટે 152 સૈનિકોને મૃત્યુદંડની સજા ફટકારી છે.
વર્ષ 2009ના બળવામાં ટોચના લશ્કરી અધિકારીઓ સહિત 74 લોકોની કતલ કરવામાં આવી હતી. કુલ 820 ભૂતપૂર્વ અર્ધલશ્કરી સૈનિકો અને 26 નાગરિક ઉપર કેસ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં ઢાકા મેટ્રોપોલિટન સેસન્સ કોર્ટ જજ એમ ડી અખ્તરુઝમાને 158 બળવાખોર સૈનિકોને આજીવન કેદ અને અન્ય 251ને ત્રણથી દસ વર્ષની જેલસજા ફરમાવી છે. 271ને છોડી મૂકવામાં આવ્યા છે.
મૃત્યુદંડની સજા પામેલામાં બંગલાદેશ રાઈફલ્સના ભૂતપૂર્વ ડેપ્યુટી આસિસ્ટન્ટ ડિરેક્ટર તોહિદ અહમદ છે. અહમદ બળવાખોરોનો મુખ્ય નેતા હતા.જૂના ઢાકામાં મદરેસાના મેદાનમાં આવેલી હંગામી કોર્ટના સંકુલમાં કડક સલામતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આરોપીઓને નજીકની સેન્ટ્રલ જેલમાંથી વાનમાં લાવવામાં આવ્યા હતા. વર્ષ 2009ની 25 અને 26 ફેબ્રુઆરીએ લશ્કરી નેતાઓ સામે પોતાની કેટલીક ફરિયાદો અને માગણીના સંદર્ભમાં બળવો કરવામાં આવ્યો હતો. વડાં પ્રધાન શેખ હસીનાએ હોદ્દો ગ્રહણ કર્યાના બે મહિના બાદ બળવો કરવામાં આવ્યો હતો.
બીડીઆર વડા મેજર જનરલ શકીલ અહમદની પણ હત્યા કરવામાં આવી હતી. બળવાખોરોએ 74 લોકોને જીવતા બાળી નાખ્યાં હતાં અને તેઓના શબને ગટરોમાં નાખી દીધા હતા. બીડીઆર વડા મથક ખાતેથી બળવાખોરોએ 2500 શસ્ત્રોની ચોરી કરી હતી અને ટોચના અધિકારીઓની બેઠકમાં દાખલ થઈ નજીકથી ગોળી મારી અધિકારીઓની હત્યા કરી હતી.