નવજોત સિંહ સિદ્ધુના ખભે ઈમરાન ખાનનું તીર અને નિશાના પર પીએમ મોદી
પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન નવજોત સિંહ સિદ્ધુના ખભાનો ઉપયોગ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર એક પછી એક તીર ચલાવતા રહ્યા.
શીખો માટે કરતારપુર સાહિબનું મહત્વ શબ્દોમાં વર્ણવી શકાય નહિ. આઝાદીના આટલા દાયકા વીત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહિબ કૉરિડોરનો પાયો નાખવામાં આવ્યો જેની મદદથી શીખ શ્રદ્ધાળુ વિઝા વિના દર્શન કરવા જઈ શકશે. હાલમાં શીખ શ્રદ્ધાળુ દૂરબીનથી આ પવિત્ર સ્થળના દર્શન કરે છે. બુધવારે જ્યારે કૉરિડોરનો પાયો નાખવાનો સમારંભ કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવા સહિત ઘણી મોટી હસ્તીઓ હાજર રહી. ભારત તરફથી નવજોત સિદ્ધુ, હરસિમરત કૌર અને હરદીપ સિંહ પૂરી સમારંભમાં પહોંચ્યા. ઈમરાન ખાને આ વખતે પણ શાંતિની વાત કરી, કાશ્મીર મુદ્દો ઉકેલવાનો ઉલ્લેખ કર્યો અને નવજોત સિંહ સિદ્ધુના ખભાનો ઉપયોગ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર એક પછી એક તીર ચલાવતા રહ્યા. ઈમરાન ખાનના શપથ ગ્રહણમાં શામેલ થવા માટે જ્યારે સિદ્ધુ પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમને પીઓકેના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં બેસાડવામાં આવ્યા હતા. આ વખતે ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાને કાર્યક્રમમા પહેલી પંક્તિમાં જગ્યા આપવામાં આવી. તે પાક સેનાપ્રમુખ સાથે હાથ મીલાવતા જોવા મળ્યા. નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાવલાના ફોટા પણ સામે આવ્યા. ઈમરાન ખાને આ પવિત્ર પ્રસંગે જે રીતે નાપાક ઈરાદા જાહેર કર્યા તેનાથી સ્પષ્ટ છે કે તેમના માત્ર 'મોઢામાં રામ છે' પરંતુ તે 'બગલમાં છૂરી' લઈને ફરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયુ 16 ટકા મરાઠા અનામત બિલ
સિદ્ધુના બહાને હાલના ભારતીય નેતૃત્વ પર ઈમરાન ખાને કર્યો કટાક્ષ
ઈમરાન ખાને ક્રિકેટ અને રાજકારણમાં બે પ્રકારના લોકોનો ઉલ્લેખ કરીને ઘણી વાર ભારતીય નેતાગીરી પર શાંતિની રાહમાં રોડા અટકાવવાનો આરોપ લગાવ્યો. પાકિસ્તાની પીએમે કહ્યુ કે ક્રિકેટમાં તેમને બે પ્રકારના ખેલાડી મળ્યા. એક - જે રિસ્ક લેવાથી ડરતા હતા, તે હારવાથી ડરતા હતા. ઈમરાને કહ્યુ કે, જે મે બે પ્રકારના રાજકારણીઓ કહ્યા હતા ને - એક હોય છે જે ચાન્સ લે છે, તે મોટા સપના જુએ છે. એક હોય છે, જે ડરી ડરીને પોતાની મતબેંક જુએ છે. બીજો નફરતો ફેલાવીને મત લે છે અને એક માનવોને જોડીને મત લે છે. ઈમરાન ખાને આગળ કહ્યુ - હું એ આશા રાખુ છુ કે એવુ ન બને કે અમારે સિદ્ધુની રાહ જોવી પડે, જ્યારે તે વઝીર એ આઝમ બને, ત્યારે બંને દેશો વચ્ચે દોસ્તી થશે. સિદ્ધુ આ વાત પર હસ્યા, પરંતુ તે સમજી ન શક્યા કે આ ભારતની હાલની સરકાર પર કરેલો કટાક્ષ હતો. ઈમરાને આગળ કહ્યુ કે, હું આશા રાખુ છુ કે ભારતમાં એવી લીડરશીપ આવે. તેમાં તાકાત હોય, લીડરશીપને તાકાત જોઈએ, ઈરાદા જોઈએ.
કરતાપુર સાહિબ કૉરિડોરનો પાયો નાખવા પાછળ ઈમરાનના બે હેતુ
કરતારપુર સાહિબ કૉરિડોરનો પાયો નાખવા પાછળ ઈમરાન ખાનના બે હેતુ છે. પહેલો - શીખો પ્રત્યે ઉદારતાના બહાને ખાલિસ્તાન સાથે જોડાયેલી ચિંગારીને ફરીથી હવા આપવી. આઝાદીના આટલા દાયકા વીત્યા બાદ પણ કરતારપુર સાહિબના દર્શન શીખ શ્રદ્ધાળુ દૂરબીનથી કરતા હતા. એવામાં ઈમરાન ખાનને સારો અવસર દેખાયો, જેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયની નજરોમાં તે પોતાને ‘શાંતિના મસીહા' તરીકે પ્રોજેક્ટ કરી શકે છે. આ તેમનો બીજો હેતુ છે. સેનાની લખેલ સ્ક્રિપ્ટ વાંચતા ઈમરાન ખાને પોતાના ભાષણમાં ઘણી વાર ઈશારા ઈશારામાં પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. તે દર વખતે એ જ સંદેશ આપતા જોવ મળ્યા કે શાંતિની રાહ પર ચાલવા માટે પાકિસ્તાન તો તત્પર છે પરંતુ ભારત પાસેથી જરૂરી સહયોગ નથી મળી રહ્યો.
સેનાની લખેલી સ્ક્રિપ્ટ વાંચે છે ઈમરાન ખાન
ઈમરાન ખાન વિશે આ વાત જગજાહેર છે કે તે સેનાના સમર્થથી પાકિસ્તાનમાં સરકાર ચલાવી રહ્યા છે. ઈમરાન ખાને કાશ્મીર રાગ આલાપવા દરમિયાન સેનાનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યુ કે પહેલા તેઓ જ્યારે પણ ભારત આવતા હતા તો તેમને આ જ વાત સાંભળવા મળતી હતી કે પાકિસ્તાનની સેના શાંતિ નથી ઈચ્છતી. ઈમરાને આગળ કહ્યુ કે આજે હું પ્રાઈમ મિનિસ્ટર, મારી પાર્ટી અને રાજકીય પક્ષ અને પાકિસ્તાનની સેના બધા એક પેજ પર છે. મતલબ ઈમરાન ખાન શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની સેનાની પણ ગેરેન્ટી આપી રહ્યા છે. જ્યારે ભારત સંબંધિત દરેક મામલે ઈમરાન ખાનને સેનાના કારણે શરમજનક સ્થિતિમાં મૂકાવુ પડ્યુ છે. તેઓ વાત તો શાંતિની કરે છે પરંતુ સિદ્ધુ પાકિસ્તાન જાય છે તો ખાલિસ્તાન સમર્થક, પીઓકેના રાષ્ટ્રપતિ પાસે તેમને ઉભા કરી દે છે. આ બધુ પ્લાનિંગ પાકિસ્તાનની સેનાના ઈશારે થાય છે. ઈમરાન ખાન વારંવાર શાંતિ શાંતિનો ઉલ્લેખ કરે છે. કાશ્મીર ઉકેલની વાત કરે છે પરંતુ હજુ આતંકવાદ અને સીમા પર મચેલી હલચલનો કોઈ ઉલ્લેખ આજે તેમણે કર્યો નહિ. આની પાછળ એક જ મુખ્ય કારણ છે અને તે એ છે કે ઈમરાન ખાન એ જ સ્ક્રિપ્ટ વાંચે છે જે સેના તરફથી તેમને લખીને આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ સીએમ યોગીને તેજસ્વીએ પૂછ્યુ, ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે?