પાકિસ્તાનમાં ઈમરાન ખાનના ભાષણો અને પ્રેસ કોન્ફ્રન્સના પ્રસારણ પર રોક, જાણો કેમ કરાઈ આ કાર્યવાહી?
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. માંડ માંડ જીવ બચ્યા બાદ હવે પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન પર મોટી કાર્યવાહી કરી છે.
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. માંડ માંડ જીવ બચ્યા બાદ હવે પાકિસ્તાન સરકારે ઈમરાન ખાન પર મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, પાકિસ્તાન સરકારની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરીએ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના ભાષણો અને પ્રેસ કોન્ફ્રન્સના પ્રસારણ પર રોક લગાવી છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમનું લાઈવ કે રેકોર્ડેડ પ્રસારણ નહીં કરી શકાય. આ પહેલી વખત નથી, આ પહેલા પણ ઈમરાનખાનના કાર્યક્રમો પર રોક લગાવવાાં આવી છે. આ પહેલા ઓગસ્ટમાં એક પોલીસ અધિકારી અને મહિલા મેજિસ્ટ્રેટને ધમકાવવાના આરોપમાં ઈમરાન ખાનના લાઈવ ભાષણોના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ વખતે પ્રતિબંધ સખત હોવાનું મનાય છે.
પાકિસ્તાનની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોનું કમિશન બનાવવા માંગ કરી છે.
Pakistan Electronic Media Regulatory Authority (PEMRA) has imposed a ban on all TV channels from broadcasting and rebroadcasting PTI chief Imran Khan’s speeches and press conferences, reports Pakistan's Geo News
— ANI (@ANI) November 5, 2022
(File photo) pic.twitter.com/nwlAyDAhzW
ઈમરાન ખાન પર હુમલાના એક દિવસ બાદ ઈમરાન ખાને તેમની હત્યાનો આરોપ ત્રણ વ્યક્તિઓ વડાપ્રધાન શાહબાઝ, ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને મેજર જનરલ ફૈઝલ નસીર પર લગાવ્યો હતો. ઈમરાન ખાને દાવો કર્યો હતો કે આ બધાએ તેને બંધ રૂમમાં મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાસે તેનો વીડિયો છે અને જો તેને કંઈ થશે તો તેને જાહેર કરવામાં આવશે.
ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરી છે. જેમાં તેમણે કોર્ટની અવમાનનાની સુનાવણી મોકૂફ રાખવાની વિનંતી કરી છે. ઇમરાને પોતાની અરજીમાં કહ્યું છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇજાગ્રસ્ત અને સારવાર હેઠળ હોવાથી માંગવામાં આવેલ જવાબ આપી શકે તેમ નથી.
અહીં તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાન વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં માંગ કરવામાં આવી છે કે ઈમરાન ખાનને પીટીઆઈના અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવે. લાહોર હાઈકોર્ટ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે.