બિલ ગેટ્સે ભારતના કર્યા વખાણ, કહ્યું- ભારત પાસે તમામ સમસ્યાઓનુ સમાધાન
ગેટ્સે તેમના બ્લોગમાં લખ્યું છે કે, "ભારતે જે નોંધપાત્ર પ્રગતિ કરી છે તેનાથી વધુ સારો પુરાવો બીજો કોઈ નથી. સમગ્ર ભારત મને ભવિષ્ય માટે આશા આપે છે."
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ભારતને ભવિષ્યની આશા ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારત ભવિષ્ય માટે આશા આપે છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષે કહ્યું કે ભલે આજે વિશ્વ અનેક મોરચે સંકટનો સામનો કરી રહ્યું છે, પરંતુ આ દેશ ઘણી મોટી સમસ્યાઓને એકસાથે હલ કરી શકે છે. આ સાથે બિલ ગેટ્સે બિહારમાં પુસાનો પણ ઉલ્લેખ કર્યો અને તેને કૃષિનું ભવિષ્ય ગણાવ્યું હતુ.

ભારતે કોન્સેપ્ટને ખોટો સાબિત કર્યો
ગેટ્સે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, "ભારતે જે અસાધારણ પ્રગતિ કરી છે તેના કરતાં વધુ સારો પુરાવો બીજો કોઈ નથી. સમગ્ર ભારત મને ભવિષ્ય માટે આશા આપે છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે, જેનો અર્થ છે કે તમે ત્યાંની મોટાભાગની સમસ્યાઓને મોટા પાયા પર ઉકેલ્યા વિના ઉકેલી શકાતી નથી. તેમ છતાં, ભારતે સાબિત કર્યું છે કે તે મોટા પડકારોનો સામનો કરી શકે છે."

ભારતે ખુદ બનાવી લીધી વેક્સિન
બિલ ગેટ્સે વધુમાં જણાવ્યું હતું કે ભારતે પોલિયોને નાબૂદ કર્યો, એચઆઈવીનું સંક્રમણ ઘટાડ્યું, ગરીબી ઓછી કરી, શિશુ મૃત્યુદર ઘટાડવામાં સફળતા મેળવી. આ જ સમયગાળામાં ભારતમાં સ્વચ્છતા અને નાણાકીય સેવાઓની પહોંચમાં પણ વધારો જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે નવીનતા માટે વિશ્વ-અગ્રણી અભિગમ વિકસાવ્યો છે, જેના લાભો તેઓ સુધી પહોંચે છે જેમને ખરેખર તેની જરૂર છે. બિલ ગેટ્સે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે જ્યારે ઝાડા અટકાવતી રોટાવાયરસ રસીની કિંમત ઘણી મોંઘી હતી, ત્યારે ભારતે પોતાની રસી બનાવવાનું નક્કી કર્યું.

બીજા દેશો પણ ઉઠાવી રહ્યાં છે ફાયદા
ભારતે સસ્તી રસી બનાવવા અને દરેક બાળક સુધી પહોંચવાની ખાતરી કરી છે. ગેટ્સે કહ્યું કે ભારતે રસીનું વિતરણ કરવા માટે ફેક્ટરીઓ અને મોટા પાયે વિતરણ ચેનલો બનાવવા માટે નિષ્ણાતો અને ફંડર્સ (ગેટ્સ ફાઉન્ડેશન સહિત) સાથે કામ કર્યું છે. ભારતમાં, 2021 સુધીમાં, 1 વર્ષની વયના 83 ટકા બાળકોને રોટાવાયરસ સામે રસી આપવામાં આવી હતી. આ ઓછી કિંમતની રસીઓ હવે વિશ્વના અન્ય દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે.
બિહારમાં પુસા સ્થિત ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા IARI ખાતે તેના ભંડોળ વિશે વાત કરતા ગેટ્સે જણાવ્યું હતું કે, "ગેટ્સ ફાઉન્ડેશન IARI ખાતે સંશોધકોના સંશોધનને સમર્થન આપવા માટે ભારતના જાહેર ક્ષેત્ર અને CGIAR સંસ્થાઓ સાથે હાથ મિલાવે છે. તેમણે એક નવતર ઉકેલ લાવ્યા - ચણાની જાતો જે 10 ટકા વધુ ઉપજ ધરાવે છે અને દુષ્કાળ પ્રતિરોધક છે. એક જાત ખેડૂતો માટે પહેલેથી જ ઉપલબ્ધ છે, અને બીજી કેટલીક હાલમાં સંસ્થામાં વિકાસ હેઠળ છે.

કૃષિ ક્ષેત્રે ભારત આગળ
બિલ ગેટ્સે કહ્યું કે ઝડપથી ગરમ થતી દુનિયામાં, ભારત આજે તેના લોકોને ખવડાવવા અને ખેડૂતોને મદદ કરવા માટે વધુ સારી સ્થિતિમાં છે. ગેટ્સે કહ્યું કે એ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે ભારતનું કૃષિ ભવિષ્ય પુસાના વિસ્તારમાં ઘડાઈ રહ્યું છે. બિલ ગેટ્સે જણાવ્યું હતું કે આબોહવા, ભૂખમરો અને આરોગ્ય જેવા પડકારો દુસ્તર લાગે છે તેનું એક કારણ એ છે કે અમારી પાસે હજી સુધી તેને ઉકેલવા માટેના તમામ સાધનો નથી. પરંતુ હું આશા રાખું છું કે એક દિવસ અમે આ માટે IARI ના સંશોધકોનો આભાર માનશું.

ભારત પ્રવાસે આવશે બિલ ગેટ્સ
તમને જણાવી દઈએ કે 1905માં પુસામાં IARIની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ બિહારમાં 1934ના ભૂકંપને કારણે થયેલા નુકસાન બાદ બે વર્ષ બાદ IARIને દિલ્હી ખસેડવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ એક મીડિયા પ્રકાશનમાં પ્રકાશિત ગેટ્સનો બ્લોગ પણ શેર કર્યો છે. બિલ ગેટ્સે પોતાના બ્લોગમાં માહિતી આપી છે કે તેઓ આવતા અઠવાડિયે ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકો દ્વારા થઈ રહેલા કામને જોવા માટે ભારત આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
