કોરોના વાઇરસ : ‘તમને કોરોના થાય તો તમારાં કૂતરાં-બિલાડીને પણ થઈ શકે’
કોરોના વાઇરસ : ‘તમને કોરોના થાય તો તમારાં કૂતરાં-બિલાડીને પણ થઈ શકે’
એક સંશોધન અનુસાર જો કૂતરા કે બિલાડીના માલિકને કોરોનાનું સંક્રમણ થયું હોય તો તે કૂતરા કે બિલાડીને પણ કોરોના થઈ શકે છે.
196 ઘરોમાંથી 310 પ્રાણીઓના સ્વેબ લેવાયા હતા. આ એ ઘરો છે જ્યાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું.
તેમાંથી કુલ છ બિલાડી અને સાત કૂતરાંના આરટી-પીસીઆર ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ 54 પ્રાણીઓમાં વાઇરસ સામેના ઍન્ટિબૉડી જોવા મળ્યા છે.
યુટ્રેચ યુનિવર્સિટીના ડૉ. એલ્સ બ્રોએન્સે કહ્યું, "જો તમને કોવિડ હોય તો તમારે તમારાં કૂતરા કે બિલાડીના સંપર્કમાં ન આવવું જોઈએ. તમે જે રીતે અન્ય માણસના સંપર્કમાં આવવાનું ટાળો છો એવું જ કરવું જોઈએ."
"મુખ્ય ચિંતા પ્રાણીનું સ્વાસ્થ્ય નથી પરંતુ પશુ પણ વાઇરસનાં કૅરિયર તરીકે વર્તી શકે છે અને માનવવસતીમાં સંક્રમણ માટેનું કારણ બની શકે છે."
અભ્યાસ હાથ ધરનારા સંશોધકોએ કહ્યું કે પશુમાંથી તેના માલિકને સંક્રમણ થયું હોવા એવા કોઈ પુરાવા નથી મળ્યા. વળી આ રીતે વાઇરસ ફેલાઈ રહ્યો છે કે નહીં એ શોધવું પણ મુશ્કેલ છે.
મોટાભાગના પાલતું પ્રાણીઓમાં લક્ષણો નહીં હોય અથવા સાવ મંદ લક્ષણો હશે.
- દરિયાના પેટાળમાં રહેતો 'વિશાળ વંદા' જેવો આ જીવ ખાસ કેમ છે?
- ચીન : કોરોનાની જેમ મહામારી લાવી શકે એવો નવો વાઇરસ મળ્યો
વિદેશમાં સામે આવ્યા પાલતું પ્રાણીઓને કોરોના થયાના કેસ
યુનિવર્સિટીએ નેધરલૅન્ડ્ઝનાં ઘરોમાં રહેલાં પાલતું પશુઓના ટેસ્ટ માટે મોબાઇલ વેટરનરી વાન મોકલવામાં આવી હતી.
પાછલા 200 દિવસમાં જે ઘરોમાં કોવિડના કેસ જોવા મળ્યા ત્યાં તેમણે નમૂના લીધા હતા.
તેમનાં પાલતું પશુના સ્વેબ ટેસ્ટ કરાયા અને લોહીના નમૂના પણ લેવાયા હતા. જેમાં ભૂતકાળમાં કેટલાકને કોવિડ થયો હોવાનું પણ જોવા મળ્યું.
જોકે ફૉલોઅપ માટે કરાયેલા આરટી-પીસીઆર ટેસ્ટ નૅગેટિવ આવ્યા અને તેમનામાં ઍન્ટિબોડી પણ જોવા મળ્યા.
સંશોધકોનું કહેવું છે કે મનુષ્યમાંથી પ્રાણીમાં વાઇરસનું સંક્રમણ થઈ રહ્યું છે.
વેટરીનરી માઇક્રૉબાયૉલૉજી ડાયગ્નોસ્ટિક સેન્ટરના ડૉ. બ્રોએન્સે કહ્યું, "અમે એવું નથી કહી રહ્યા કે તેમના માલિકોને પશુ દ્વારા સંક્રમણ થાય એનો જરાય ખતરો નથી. હાલ મહામારી ચાલુ જ છે અને મનુષ્યથી મનુષ્યમાં તે ફેલાય છે. આથી આ વલણને ડિટેક્ટ ન કરી શકાય."
અહીં નોંધનીય છે કે રશિયામાં કેટલાક પશુચિકિત્સકોએ પ્રાણીઓને પણ રસી અપાવાનું શરૂ કરી દીધું છે.
પણ ડૉ. બ્રોએન્સ કહે છે,"મને આ વાતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી જોવા મળતા. મને લાગતું નથી કે પ્રાણીઓ મહામારીમાં કોઈ ભૂમિકા ભજવે છે."
શું એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ચેપ પ્રસરે છે?
કૅનેડામાં ગ્લુલેફ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક અન્ય સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પાલતું પ્રાણીઓ તેમના માલિકની પથારીમાં સૂઈ જાય છે તેમને સંક્રમણનું વધુ જોખમ રહેલું છે.
તેમાં 77 ઘરોમાંથી કુલ 48 બિલાડી અને 54 કૂતરાંમાં કોવિડ સામેના ઍન્ટિબૉડી જોવા મળ્યા હતા. તેમના માલિકોને તેઓ પશુઓના સંપર્કમાં આવ્યા હતા કે કેમ તે વિશે પણ પૂછવામાં આવ્યું હતું.
તેમાંથી 67 ટકા બિલાડીઓમાં અને 43 ટકા કૂતરાંમાં સંક્રમણ જોવા મળ્યું હતું. જ્યારે આશ્રયઘરોમાં રહેતાં કૂતરાં-બિલાડીમાં આ પ્રમાણ નવ ટકા હતું. રસ્તે રખડતાં કૂતરાંમાં ત્રણ ટકા સંક્રમણ જોવા મળ્યું હતું.
તેમાંથી ચોથા ભાગનાં પ્રાણીઓમાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આ લક્ષણોમાં ભૂખ ન લાગવી અને શ્વાસની તકલીફ જેવાં લક્ષણો મુખ્ય હતાં.
પણ મોટાભાગના કેસો સાધારણ હતા અને માત્ર ત્રણ કેસ ગંભીર હતા. સંશોધકોનું કહેવું છે બિલાડીની જૈવિક રચના તેને વાઇરસ મામલે વધુ જોખમી બનાવે છે.
વળી બિલાડીઓ કૂતરાં કરતાં તેમના માલિકના મુખ પાસે વધારે સૂતી હોય છે આથી તેમને સંક્રમણ થવાનું જોખમ વધે છે.
દરમિયાન કૅમ્બ્રિજના પશુચિકિત્સા વિભાગના વડા પ્રો. જેમ્સ વૂડ કહે છે કે આ બંને અભ્યાસ એ પુરાવા અને આધારમાં વધારો છે કે જેમાં માલિકમાંથી બિલાડી-કૂતરાને સંક્રમણ થવાની વાત છે. તે સંક્રમણની ક્ષમતા વધારે છે.
તેમણે કહ્યું, "મોટાભાગના રિપોર્ટમાં આ કેસો લક્ષણ વગરના હોવાનું માલૂમ પડ્યું છે. એટલે કે વાઇરસ સામાન્યપણે તે કૂતરા કે બિલાડીમાંથી અન્ય પશુમાં નથી ફેલાતો."
- CoWIN ઍપ : કોરોનાની રસી માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વૅક્સિનનો બીજો ડોઝ સમયસર ન મળે તો કોઈ આડઅસર થાય?
- કોરોનામાંથી સાજા થયા પછી શું વૅક્સિનનો માત્ર એક ડોઝ લેવો પૂરતો રહેશે?
- પિરિયડ્સ દરમિયાન કોરોનાની રસી લેવી સુરક્ષિત છે?
https://www.youtube.com/watch?v=tKDXsda65Dg
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો