G20 Summit: 'બુદ્ધની ધરતીથી આવશે શાંતિ', પીએમ મોદીએ યુક્રેનમાં તત્કાલ યુદ્ધવિરામની કરી અપીલ
ઈન્ડોનિશિયાના બાલીમાં આજથી શરુ થયેલી જી20 શિખર સંમેલનના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં સિઝફાયરનુ આહ્વાન કર્યુ છે.
PM Modi G20 Summit: ઈન્ડોનિશિયાના બાલીમાં આજથી શરુ થયેલી જી20 શિખર સંમેલનના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં સિઝફાયરનુ આહ્વાન કર્યુ છે. તેમણે દ્વિતીય વિશ્વયુદ્ધની ભયાનકતાનો હવાલો આપીને બાલીમાં કહ્યુ કે દુનિયાએ યુક્રેનમાં સંઘર્ષ વિરામ અને કૂટનીતિના રસ્તે પાછા આવવાનો રસ્તો શોધવો જોઈએ. જી20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મુશ્કેલ વૈશ્વિક વાતાવરણમાં જી20ને અસરકારક નેતૃત્વ આપવા બદલ હું રાષ્ટ્રપતિ જોકો વિડોડોને હૃદયપૂર્વક અભિનંદન આપુ છુ. ક્લાઈમેટ ચેન્જ, કોવિડ મહામારી, યુક્રેનમાં ઘટનાક્રમ અને તેનાથી સંબંધિત વૈશ્વિક સમસ્યાઓએ વિશ્વમાં વિનાશ સર્જ્યો છે.
વૈશ્વિક સપ્લાય ચેન નાશ પામી છે. સમગ્ર વિશ્વમાં આવશ્યક ચીજોના પુરવઠાની કટોકટી છે. દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. તે પહેલેથી જ રોજિંદા જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની પાસે બેવડા મારનો સામનો કરવાની નાણાકીય ક્ષમતા નથી. આપણે એ સ્વીકારવામાં અચકાવુ જોઈએ નહિ કે યુએન જેવી બહુપક્ષીય સંસ્થાઓ આ મુદ્દાઓ પર બિનઅસરકારક રહી છે અને આપણે બધા તેમાં યોગ્ય સુધારા કરવામાં પણ નિષ્ફળ રહ્યા છીએ. તેથી આજે વિશ્વને જી20 પાસેથી વધુ અપેક્ષાઓ છે, આપણા જૂથની પ્રાસંગિકતા વધી છે.
બાલીમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે, 'મે વારંવાર કહ્યુ છે કે આપણે યુક્રેનમાં યુદ્ધવિરામ અને કૂટનીતિના માર્ગે પાછા ફરવુ પડશે. ગઈ સદીમાં બીજા વિશ્વયુદ્ધે વિશ્વમાં તબાહી મચાવી હતી. તે પછી તે સમયના નેતાઓએ શાંતિના માર્ગે ચાલવા માટે ગંભીર પગલાં લીધા. હવે આપણો વારો છે. કોવિડ પછીના યુગ માટે નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જવાબદારી આપણા ખભા પર છે.' તેમણે કહ્યુ, 'દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંકલિત અને સામૂહિક સંકલ્પ બતાવવાની સમયની જરૂરિયાત છે.' વૈશ્વિક નેતાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ, 'મને વિશ્વાસ છે કે આવતા વર્ષે જ્યારે બુદ્ધ અને ગાંધીની પવિત્ર ભૂમિ પર જી-20 બેઠક યોજાશે ત્યારે આપણે બધા વિશ્વને શાંતિનો મજબૂત સંદેશ આપવા માટે સંમત થઈશુ.'
તમને જણાવી દઈએ કે આ વર્ષે જી20 સમિટની અધ્યક્ષતા ઈન્ડોનેશિયા કરી રહી છે અને ભારતને આગામી અધ્યક્ષ બનાવવામાં આવ્યુ છે અને સમાપન સમારોહ દરમિયાન અધ્યક્ષપદ ભારતને સોંપવામાં આવશે. આવતા વર્ષે ભારત જી20 દેશોની યજમાની કરશે અને અત્યાર સુધીના શિડ્યુલ મુજબ ભારતે કાશ્મીરમાં જી20 સમિટનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેનો હેતુ સમગ્ર વિશ્વને સાથે મળીને સંદેશ આપવાનો છે કે પાકિસ્તાન દ્વારા વર્ષોથી કાશ્મીર પર કેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જી20 જૂથ વિશ્વની લગભગ 80 ટકા અર્થવ્યવસ્થાનુ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન, કેનેડા, રશિયા, જર્મની અને યુરોપિયન યુનિયન પણ સામેલ છે.