પાકિસ્તાનમાં બે હવાઇમથકો પર આતંકી હુમલો, 10 આતંકી ઠાર મરાયા
કરાચી, 15 ઓગષ્ટ: સ્વચાલિત હથિયારો, ગ્રેનેડથી સજ્જ અને આત્મઘાતી જેકેટ પહેરીને આતંકવાદીઓએ આજે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં ભારે સુરક્ષા બંદોબસ્તવાળા બે હવાઇ મથકો પર હુમલાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષા બળોએ આ પ્રયત્નને નિષ્ફળ કરતા દસ શંકાસ્પદ વિદેશી આતંકવાદીઓને ઠાર માર્યા.
અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા સામુંગલી એરબેસ અને ખાલિદ સૈન્ય એરબેસને ગઇકાલે રાત્રે થયેલા હુમલામાં નિશાનો બનાવવામાં આવ્યા. આ બંને સૈન્ય એરબેસ એકબીજાથી લગભગ 12 કિલોમીટરના અંતર પર સ્થિત છે.
બલૂચિસ્તાનના ગૃહ મંત્રી સરફરાજ બુગતીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ હુમલા પર જવાબી કાર્યવાહી કરી અને હુલાખોરો તથા સુરક્ષાબળોની વચ્ચે ભારે ગોળીબારી થઇ. ઉગ્રવાદીઓને ખદેડવાના આ અભિયાન દરમિયાન 20થી વધારે વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
સુરક્ષા દળોએ સામુંગલી એરબેસ પર હુમલાના સંબંધમાં પાંચ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી. ઘાયલ અવસ્થામાં પકડાયેલ એક આતંકવાદીને પૂછતાછ દરમિયાન કોઇ અજાણ્યા સ્થાને લઇ જવામાં આવ્યો.
પોલીસ અધીક્ષક કુરેશીએ જણાવ્યું કે પોલીસ શંકાસ્પદો સાથે પૂછપરછ કરી રહી છે. માર્યા ગયેલા ઉગ્રવાદી 25થી 30 વર્ષની ઉંમરની વચ્ચેના હતા.