અફઘાનિસ્તાનમાં એક વર્ષ બાદ ભારતીય દૂતાવાસ ફરી શરૂ, અધિકારીઓ કાબુલ પહોંચ્યા!
અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સ્થગિત કર્યાના એક વર્ષ અને ઓગસ્ટ 2021માં ભારતીય દૂતાવાસ બંધ થયાના એક વર્ષ પછી કાબુલમાં દૂતાવાસે તેની કામગીરી ફરી શરૂ કરી છે.
કાબુલ, 21 ઓગસ્ટ : અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સ્થગિત કર્યાના એક વર્ષ અને ઓગસ્ટ 2021માં ભારતીય દૂતાવાસ બંધ થયાના એક વર્ષ પછી કાબુલમાં દૂતાવાસે તેની કામગીરી ફરી શરૂ કરી છે. આ કામગીરી ગત સોમવાર 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ભારતીય દૂતાવાસે કાબુલમાં તેની ઓફિસને સ્થગિત કરી દીધી હતી. અધિકારીઓ પણ કાબુલ છોડી આવી ગયા હતા.

ગયા વર્ષે 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સરકાર પડી ભાંગી હતી અને તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે, ભારતનું રાજદ્વારી કોન્સ્યુલેટ 13 ઓગસ્ટે કામ ફરી શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કાબુલ પહોંચ્યું હતું. અમે ભારતીય રાજદ્વારીઓનું સ્વાગત કરીએ છીએ. તેમણે અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ સહયોગ અને સુરક્ષાની ખાતરી આપી છે.
તાલિબાનની આગેવાનીવાળી સરકાર ભારત સહિત તમામ પડોશી દેશો સાથે સારા સંબંધો બાંધવા આતુર છે તે વાતને રેખાંકિત કરતાં બલ્કીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં દેશ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ અધૂરા છે. અમને આશા છે કે ભારત અફઘાનિસ્તાનના વિકાસ માટે ફરી કામ શરૂ કરશે. ભારત દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, કેટલાક અડધા પૂર્ણ થયા છે અને અન્ય અડધાથી વધુ પૂર્ણ થઈ ગયા છે.
અબ્દુલ કહાર બલ્કીએ અફઘાનિસ્તાનમાં ચીને લશ્કરી મથક બનાવવાના અહેવાલો સાથે સંબંધિત તમામ દાવાઓને નકારી કાઢ્યા. બલ્કીએ કહ્યું કે તાલિબાન કેબિનેટ પડોશી દેશો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો જાળવી રાખવા માંગે છે. તાલિબાનનું કહેવું છે કે અમે અમારી જમીનનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થવા દઈશું નહીં. બલ્કીએ ટ્વિટર પર રાજદ્વારી સંબંધો ફરી શરૂ થવાનું સ્વાગત કર્યું અને કહ્યું કે અફઘાન સરકાર ભારત સરકારના પગલાને આવકારે છે. રાજદ્વારીઓની સુરક્ષા પર સરકાર વિશેષ ધ્યાન આપશે.












Click it and Unblock the Notifications
