ઇઝરાયલની કંપની NSOએ પેગાસસ સૉફ્ટવેરની મદદથી ‘આઈફોન હૅક કર્યાં’?
ઇઝરાયલની કંપની NSOએ પેગાસસ સૉફ્ટવેરની મદદથી ‘આઈફોન હૅક કર્યાં’?
ઍપલે ઇઝરાયલની સ્પાયવૅર કંપની NSO (એનએસઓ) ગ્રૂપ અને તેની પૅરન્ટ કંપની સામે કથિતપણે આઇફોન યુઝરોને હૅકિંગ ટૂલ વડે ટાર્ગેટ કરાયા હોવાના દાવા સાથે કેસ કર્યો છે.
એનએસઓનો પેગાસસ સૉફ્ટવૅર આઇફોન અને એન્ડ્રોઇડ બંને ડિવાઇસને અસર કરી શકે છે. આ સૉફ્ટવૅર ઑપરેટર્સને મૅસેજ, ફોટો અને ઇમેઇલ મેળવવામાં અને ગુપ્તપણે કૉલ રેકર્ડ કરવા તેમજ માઇક્રોફોન અને કૅમેરા ઍક્ટિવેટ કરવામાં સમર્થ છે.
એનએસઓ ગ્રૂપે કહ્યું હતું કે, તેમના ટૂલ્સ આતંકવાદીઓ અને અસામાજિક તત્ત્વોને નિશાન બનાવવા માટે બનાવાયાં છે. પરંતુ કથિતપણે તેનો ઉપયોગ ઍક્ટિવિસ્ટ, રાજનેતા અને પત્રકારો વિરુદ્ધ પણ થયો છે.
NSO ગ્રૂપે કહ્યું કે તેઓ પેગાસસ માત્ર સારા માનવાધિકારના રેકર્ડવાળા દેશોનાં સૈન્ય, કાયદો-વ્યવસ્થાની જાળવણી માટેની અને અન્ય ઇન્ટેલિજન્સ એજન્સીઓને જ પૂરા પાડે છે.
જોકે, તાજેતરમાં જ અમેરિકાના અધિકારીઓએ કંપનીને ટ્રૅડ બ્લેકલિસ્ટમાં મૂકી હતી. જેના માટે કારણ આપતાં જણાવાયું હતું કે, “આ સૉફ્ટવૅરનો ઉપયોગ વિદેશી સરકારોને વિરોધના અવાજોને શાંત કરવા અને તેમના પર અંકુશ રાખવા માટે શક્તિમાન બનાવે છે. જેની મદદથી એકહથ્થુશાહી સરકારો વિરોધ કરનારા લોકો, પત્રકારો અને ઍક્ટિવિસ્ટોને ટાર્ગેટ કરે છે.”
ઍપલના આ પગલા બાદ માઇક્રોસૉફ્ટ, અગાઉ ફેસબુક તરીકે ઓળખાતાં મેટા પ્લૅટફૉર્મ, ગૂગલની માલિક કંપની આલ્ફાબેટ અને સિસ્કો સિસ્ટિમે પણ ટીકા કરી હતી.
કૅલિફોર્નિયા ખાતે કરાયેલ કાયદાકીય મામલા અંગે જાહેરાત કરતી એક બ્લોગ પોસ્ટમાં ઍપલે જણાવ્યું હતું કે, તેઓ NSO ગ્રૂપ અને તેની પેરન્ટ કંપની OSY ટેકનૉલૉજીસને “ઍપલના ઉપયોગકર્તાઓને ટાર્ગેટ કરવા અને તેમના પર નજર રાખવા માટે જવાબદાર ઠેરવવા માગે છે.”
ઍપલની આ પોસ્ટમાં કહેવાયું હતું કે, “તેમના યુઝરોના થતા વધુ શોષણ અને તેમને પડી રહેલી સમસ્યાના નિવારણ માટે, તેઓ NSO ગ્રૂપ દ્વારા ઍપલનાં સૉફ્ટવૅર, સર્વિસ અને ઉપકરણોના ઉપયોગ પર કાયમી મનાઈહુકમ ફરમાવવામાં આવે તેવું ઇચ્છે છે.”
- કઈ રીતે શીખ બનીને શીખો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવાયું?
- પુંછ ઍન્કાઉન્ટરઃ એક એવું ઑપરેશન જેમાં સવાલો વધુ ને જવાબ ઓછા
હૅકિંગની પ્રવૃત્તિનો ભેદ ઍપલે નકાર્યો
નોંધનીય છે કે એપલ પોતાની સર્વિસ અને ડિવાઇસની પ્રાઇવસી અંગે ઘણો ગૌરવ અનુભવે છે. તે તેમના ડિવાઇસ માટે એક મોટું સેલિંગ પૉઇન્ટ પણ છે.
તેથી જો કોઈ કંપની પોતાની પ્રાઇવસીને સર્વોચ્ચ માનતી અમુક કંપનીના તમામ સિક્યૉરિટી ફિચરને બાયપાસ કરવાનો દાવો કરે તો તેને તો ઍપલ જેવી કંપની તરફથી વિપરીત પ્રતિક્રિયાનો સામનો કરવો પડી શકે તે સ્વાભાવિક છે.
જોકે, ઍપલ માત્ર આ જ દલીલ પર પ્રતિબંધની માગણી નથી કરી રહ્યું. તમામ હૅકરોને એક જ શ્રેણીમાં ન મૂકી શકાય. NSO ગ્રૂપના તમામ ગ્રાહકો સરકારો છે.
NSOનો દાવો છે કે તેઓ માત્ર સારા માનવાધિકારના રેકર્ડવાળા દેશોની એજન્સીઓ સાથે જ કામ કરે છે.
આવી રીતે કંપનીએ પોતાની જાતને અયોગ્ય હેતુસર હૅકિંગની પ્રવૃત્તિ કરનારા લોકોથી પોતાને અલગ તારવી હતી.
NSO ગ્રૂપ પર કેસ દાખલ કરી ઍપલે આ ભેદને નકારી કાઢ્યો છે.
આમ ઍપલે સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તમે કોઈ પણ હેતુસર એપલની પ્રોડક્ટ કે સર્વિસને હૅક કરવાનો પ્રયાસ કરશો તો તમારે પરિણામો માટે તૈયાર રહેવું પડશે.
પરંતુ આ મામલો થોડો વધુ ગૂંચવાયેલો છે.
કારણ કે ઍપલને જે સરકારો આ ટેકનૉલૉજીનો ઉપયોગ કરે છે તેમના કરતાં એક ખાનગી કંપની પર કાર્યવાહી કરવાનું રાજકીયરીતે વધુ સંતોષજનક લાગ્યું હશે.
- જો બાઇડને ડેમૉક્રસી સમિટમાં તાઇવાનને આમંત્રણ આપ્યું, ચીન બાકાત
- મોદી સરકાર શું હવે સીએએ અને એનઆરસી મુદ્દે પણ પીછેહઠ કરશે?
'વારંવાર માલવૅર અપડેટ કરીને જાસૂસીનો પ્રયાસ'
અમેરિકા ડિસ્ટ્રિક્ટ કૉર્ટ ઑફ કેલિફોર્નિયામાં કરાયેલ ફરિયાદમાં ઍપલે જણાવ્યું છે કે, NSOના ટૂલનો ઉપયોગ “વર્ષ 2021માં ઍપલના ગ્રાહકોને ટાર્ગેટ કરવા અને તેમના પર હુમલો કરવા માટે વપરાયાં હતાં.” સાથે જ ફરિયાદમાં એવો પણ દાવો કરાયો હતો કે, “આ સૉફ્ટવૅર થકી અમેરિકાના નાગરિકોની જાસૂસી કરાઈ હતી.”
ઍપલનો આરોપ છે કે NSO ગ્રૂપે આ હુમલા કરવા માટે 100 નકલી ઍપલ આઇડી યુઝર ક્રેડેન્સિયલ બનાવ્યા હતા.
ઍપલે જણાવ્યું કે તેમના સર્વર હૅક નહોતા થયા, પરંતુ NSOએ સર્વરને દુરુપયોગ કર્યો.
ઍપલના આરોપ મુજબ NSO જૂથ પ્રત્યક્ષપણે સ્પાયવૅર માટે કન્સલ્ટિંગ સર્વિસ પૂરી પાડવામાં સંડોવાયેલું હતું. પરંતુ NSOએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર પોતાના ગ્રાહકોને સાધનો વેચે છે.
ઍપલે કહ્યું કે તેમને અવારનવાર NSO સામે પોતાની સુરક્ષાપ્રણાલી અપગ્રેડ કરવી પડતી. કારણ કે તેમની સુરક્ષાપ્રણાલીને તોડવા માટે NSO સતત પોતાના માલવૅર વિકસાવતું રહેતું.
ઍપલે કહ્યું હતું કે તેઓ યુનિવર્સિટી ઑફ ટોરન્ટો ગ્રૂપ સિટિઝન લૅબ, જેમણે NSOના હુમલા વિશે પ્રથમ જાણકારી આપી તેમને 10 મિલિયન ડૉલરનું દાન આપશે. તેમજ કેસ દ્વારા મળેલી રકમ પણ તેમાં ઉમેરશે.
બચાવમાં NSO ગ્રૂપે કહ્યું કે, “NSO ગ્રૂપ દ્વારા વિકસાવાયેલ ટેકનૉલૉજી અને તેમના ગ્રાહકોના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના જીવ બચાવી શકાયા છે.”
“આતંકવાદીઓ ટેકનૉલૉજીનો સરળતાથી દુરુપયોગ કરી શકે છે. અને અમે સરકારોને તેમની સામે લડવા માટે સજ્જ બનાવવાનું કામ કરીએ છીએ. NSO ગ્રૂપ સત્યનું સમર્થન કરવાનું ચાલુ રાખશે.”
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો