પાકિસ્તાનઃ કરાચીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 48ના મોત
મળેલી માહિતી અનુસાર પહેલો વિસ્ફોટ અબ્બાસ ટાઉનના ઇમામબારગાહની બહાર સાંજે સાત વાગ્યે થયો જ્યારે બધા નમાજ અદા કરીને પરત ફરી રહ્યાં હતા. સ્થાનિક નિવાસીઓએ જણાવ્યું કે, બીજો વિસ્ફોટ 10 મીનિટ પછી આ જ વિસ્તારમાં થયો. બચાવ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટમાં 48 લોકો માર્યા ગયા છે. વિસ્ફોટથી રહેવાસી ઇમારતોને પણ મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું છે અને અને દુકાનો બરબાદ થઇ ગઇ છે.
સિંઘ પ્રાન્તના સ્વાસ્થ્ય સચિવ સુરેશ કુમારે મૃતકોની સંખ્યા 45 જણાવી છે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી એકપણ સમૂહ દ્વારા લેવામાં આવી નથી. બીજી તરફ નજીકની ત્રણ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, મહિલાઓ અને બાળકો સહિત 37 લોકો આ હુમલામાં માર્યા ગયા છે. જિન્ના હોસ્પિટલમાં 20 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. ત્યાં ગંભીર રીતે ઇજા પામેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. નજીકની પટેલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે, અહીં 8 મૃતદેહો લાવવામાં આવ્યા છે. ચાર લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.