મ્યાનમાર : આંગ સાન સૂ ચીની ધરપકડ, તખ્તાપલટની આશંકા
મ્યાનમાર : આંગ સાન સૂ ચીની ધરપકડ, તખ્તાપલટની આશંકા
મ્યાનમારની સેનાએ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચીની ધરપકડ કરી લીધી છે. તેમની પાર્ટીના પ્રવક્તાએ નિવેદન જારી કરીને આ વાતની જાણકારી આપી છે.
પાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે સૂ ચીની ધરપકડ કરી લેવાઈ છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે અંતરથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ છે. સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું, "સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મ્યિંટ અને બીજા નેતાઓની ધરપકડ કરી લેવાઈ છે."
તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે.
પોતાના સમર્થકો અને સામાન્ય લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, "હું અમારા લોકોને કહેવા માગીશ કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરે અને કાયદા પ્રમાણે ચાલે."
બીબીસી દક્ષિણ-પૂર્વ એશિયાના સંવાદદાતા જૉનથન હેડનું કહેવું છે કે મ્યાનમારના પાટનગર નેપીટાવ અને મુખ્ય શહેર યંગૂનમાં રસ્તા પર સૈનિક હાજર છે.
તેમણે કહ્યું છે કે આ સંપૂર્ણપણે તખ્તાપલટ લાગી રહ્યું છે જ્યારે પાછલા અઠવાડિયા સુધી સેના એ સંવિધાનના પાલનની વાત કરી રહી હતી જે સેનાએ જ દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું.
આ સંવિધાન અંતર્ગત સેનાને કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે પરંતુ આંગ સાન સૂ ચી જેવા નેતાઓની ધરપકડ કરવી એક ખતરનાક અને ઉશ્કેરણીજનક પગલું હોઈ શકે છે જેનો ભારે વિરોધ થઈ શકે છે.
બીજી તરફ બીબીસી બર્મા સેવાએ જણાવ્યું કે પાટનગરમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
- રશિયામાં માઇનસ 40 ડિગ્રીમાં "આઝાદી" અને "પુતિન ચોર છે"ના નારાઓ, અનેકની ધરપકડ
- ખેડૂત આંદોલનનું રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર મનદીપ પુનિયા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
ચૂંટણીમાં શું થયું હતું?
ગત 8 નવેમ્બરે આવેલાં ચૂંટણીપરિણામોમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ 83 ટકા બેઠકો જીતી હતી.
આ ચૂંટણીને ઘણા લોકો આંગ સાન સૂ ચીની સરકારના જનમતસંગ્રહ સ્વરૂપે જોઈ રહ્યા હતા. વર્ષ 2011માં સૈન્ય શાસન ખતમ થયા બાદ આ બીજી ચૂંટણી હતી.
પરંતુ મ્યાનમારની સેનાએ આ ચૂંટણીનાં પરિણામો પર પ્રશ્ન ખડા કર્યા છે. સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચૂંટણીપંચના અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
હાલમાં જ સેના દ્વારા કથિત ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ધમકી આપ્યા બાદ તખ્તાપલટની આશંકા પેદા થઈ છે. જોકે, ચૂંટણીપંચે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે.
કોણ છે આંગ સાન સૂ ચી?
આંગ સાન સૂ ચી મ્યાનમારની સ્વતંત્રતાના નાયક જનરલ આંગનાં દીકરી છે. 1948માં બ્રિટિશરાજથી સ્વતંત્રતા મળે એ પહેલાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી. સૂ ચી એ સમયે માત્ર બે વર્ષનાં હતાં.
સૂ ચીને સમગ્ર વિશ્વમાં માનવાધિકારો માટે ઝૂઝનાર મહિલા સ્વરૂપે જોવામાં આવ્યાં, જેમણે મ્યાનમારના સૈન્યશાસકોને પડકારવા માટે પોતાની સ્વતંત્રતા ત્યાગી દીધી.
વર્ષ 1991માં નજરકેદ દરમિયાન જ સૂ ચીને નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. 1989થી 2010 સુધી સૂ ચીએ લગભગ 15 વર્ષ નજરકેદમાં પસાર કર્યાં.
વર્ષ 2015ના નવેમ્બર માસમાં સૂ ચીના નેતૃત્વમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ચૂંટણીમાં એકતરફી જીત મેળવી.
આ મ્યાનમારનાં 25 વર્ષના ઇતિહાસમાં થયેલી પ્રથમ ચૂંટણી હતી જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
મ્યાનમારનું સંવિધાન તેમને રાષ્ટ્રપતિ બનવાથી રોકે છે, કારણ કે તેમનાં બાળકો વિદેશી નાગરિક છે. પરંતુ 75 વર્ષીય સૂ ચી મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા તરીકે જોવામાં આવે છે.
પરંતુ મ્યાનમાર સ્ટેટ કાઉન્સિલર બન્યા બાદથી આંગ સાન સૂ ચીને મ્યાનમારમાં લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વિશે જે વલણ અપનાવ્યું તેની ઘણી ટીકા થઈ હતી.
ત્યારબાદ સૂ ચીના આંતરરાષ્ટ્રીય સમર્થકોએ બળાત્કાર, હત્યા અને સંભવિત નરસંહારને રોકવા માટે તાકાતવર સેનાની નિંદા ન કરી અને ના એ અત્યાચારોનો સ્વીકાર કર્યો.
કેટલાક લોકોએ તર્ક આપ્યો કે તેઓ એક સમજદાર રાજનેતા છે જે એક એવા બહુ-જાતીય દેશનું શાસન ચલાવવાની કોશિશ કરી રહ્યાં છે જેનો ઇતિહાસ અત્યંત જટિલ છે.
પરંતુ સૂ ચીએ 2019માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં થયેલી સુનાવણી દરમિયાન જે સ્પષ્ટતા કરી, ત્યારબાદ તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ખતમ થઈ ગઈ.
જોકે, મ્યાનમારમાં આંગ સાન સૂ ચીને ધ લેડીનો ઇલકાબ હાંસલ છે અને બહુમતી બૌદ્ધ વસતીમાં તેઓ હજુ પણ ઘણાં લોકપ્રિય છે, પરંતુ બહુમતી સમાજ રોહિંગ્યા સમાજ માટે અત્યંત ઓછી સહાનુભૂતિ ધરાવે છે.
- ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સિક્કિમના નાકુલામાં 'સામાન્ય' ઘર્ષણ, કોણે શું કહ્યું?
- આંબેડકરે સ્થાપેલું મૂકનાયક અખબાર જે 'મૂક' દલિતોનો અવાજ બન્યું
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો