ભારતની ન્યાયિક પ્રક્રિયા આદરણીય, સરબજીતની દયાઅરજી પર પ્રત્યાઘાત પડી શકે : પાકિસ્તાન
સીએનએન-આઇબીએન દ્વારા પાકિસ્તાની પ્રેસ સોર્સને આધારે જણાવ્યું છે કે "અમે ભારતની ન્યાયિક પ્રક્રિયાનો આદર કરીએ છીએ. યોગ્ય તપાસ અંતર્ગત તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દીધી હતી. આ બાબતને છેલ્લી ઘડી સુધી ખાનગી રાખવામાં આવી હતી. આ મુદ્દે અમે સબરજીતની દયાઅરજી અંગે કોઇ પ્રત્યાઘાતને નકારી શકીએ નહીં."
પીટીઆઇ એજન્સીએ જણાવ્યું છે કે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસે પાકિસ્તાન સરકારને અજમલ કસાબની ફાંસી અંગે પત્ર દ્વારા જાણ કરી છે. પાકિસ્તાને તેને સ્વીકરવાની ના પાડી દીધી છે.
અજમલ કસાબને પુણેની યરવડાની જેલમાં લાવ્યા બાદ આજે સવારે લગભગ 7:30 વાગે ફાંસીની સજા આપવામાં આવી છે. ડૉક્ટરોએ અજમલ કસાબને મૃત જાહેર કર્યો છે. અજમલ કસાબને સોમવારે પુણેની જેલમાં લાવવામાં આવ્યો હતો. અજમલ કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતો, જ્યાંથી તેને પુણેની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિએ મુંબઇ 26/11 હુમલાના ગુનેગાર આમિર અજમલ કસાબની દયાની અરજી નકારી કાઢી હતી. અજમલ કસાબે ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ તેને નકારી કાઢી હતી.
રાષ્ટ્રપતિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ બાદ અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢી હતી. અજમલ કસાબની દયાની અરજીને નકારી કાઢવાના તમામ દસ્તાવેજો પર રાષ્ટ્રપતિની સહીઓ થઇ ગઇ હતી. રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને દયા અરજીને નકારી કાઢ્યાના બે મહિના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયની ટુકડીના મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માધ્યમથી પોતાની ભલામણ મોકલી હતી.
સૂત્રોના દ્રારા મળતી માહિતી મુજબ અજમલ કસાબને આર્થર રોડ જેલથી યરવડા જેલમાં કડક સુરક્ષા વચ્ચે ખસેડવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચાર વર્ષથી અજમલ કસાબ આર્થર રોડ જેલમાં બંધ હતો અને લગભગ તેની પાછળ 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે. અજમલ કસાબને 26/11 મુંબઇ હુમલામાં દોષી ગણવામાં આવ્યો હતો. આ હુમલો 2008માં થયો હતો. અજમલ કસાબ અને તેના 10 સાથીઓ સમુદ્ર માર્ગે આતંકી હુમલા માટે મુંબઇ આવ્યા હતા.