જેલમાં લાગેલી આગનો ફાયદો ઉઠાવી ભાગ્યા 200 કેદી
હજારો પોલીસકર્મીઓ અને સૈનિક તાંજુંગ ગુસ્તા જેલની આસપાસ તેનાત છે, જેમાં ઉત્તરી સુમાત્રાની રાજધાની મેદાનના અન્ય પ્રાંતો સાથે જોડતા માર્ગો બંધ છે. ફાયર બ્રિગેડના જવાનો જેલમાં લાગેલી આગને બુઝાવવામાં લાગ્યા છે. ગુરુવારે મોડી રાત્રે થયેલા રમખાણોમાં ત્રણ કર્મચારીઓ અને બે કેદીઓના મોત નીપજ્યાં છે. રમખાણોના કારણે ઉદ્દભવેલી અફરા-તફરીનો ફાયદો ઉઠાવી અંદાજે 200 કેદી જેલમાંથી ભાગી ગયા.
સ્થાનિક પોલીસ પ્રમુખ લેફ્ટનેન્ટ કર્નલ નિકો અફીંતાએ જણાવ્યું કે અધિકારીઓએ ભાગી ગયેલા કેદીઓમાંથી 55ની ધરપકડ કરી લીધી છે અને અન્ય કેદીઓની શોધખોળ ચાલું છે. દોષી 22 આતંકવાદીઓમાંથી ત્રણને પકડી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મૃતકોમાં જેલકર્મીઓમાંથી એક મહિલા પણ સામેલ છે. આ લોકો જેલ ઇમારતના કાર્યાલયમાં ફસાઇ ગયા હતા, જેમાં મોડી રાત્રે આગ લાગી ગઇ હતી.
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, જેલમાં વિજળી જતી રહેવના કારણે રમખાણો ફાટ્યાં હતા. વિજળી નહીં હોવાના કારણે કેદીઓને સવારથી પાણી મળી રહ્યું નહોતું. જેલ નિદેશાલયના પ્રવક્તા અકબર હદીએ જણાવ્યું કે કેદીઓએ અંદાજે 15 અધિકારીઓને જેલની અંદર બંધક બનાવી લીધા હતા. જેલમાં અંદાજે 2600 કેદીઓ છે, જ્યારે તેની ક્ષમતા 1500 કેદીની છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, જેલની અંદર ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો, જેલમાંથી આગની લપેટો અને ઘુમાડાઓ ઉઠવા લાગ્યા, અભિયાનને જોઇ રહેલા ઉપન્યાયમંત્રી ડેની ઇંદ્રયાનાના અધિકારીઓને જેલમાંથી તમામ કેદીઓને સુરક્ષિત બહાર કાઢવા અંગે કહ્યું છે અને ભાગી ગયેલા કેદીઓને કહ્યું છેકે તેઓ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરી દે. ઇંદ્રાયાનાએ કહ્યું કે, ભાગી ગયેલા કેદીઓનો પીછો કરવામાં આવશે અને જો તેઓ આત્મસમર્પણ નહીં કરે, તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો અંગે જાણકારી મળી નથી.