નોઇડામાં બનેલી બે કફ સિરપને WHO એ હલકી ગુણવત્તાની ગણાવી, ઉપયોગ ન કરવા સૂચન
મેડિકલ પ્રોડક્ટને એલર્ટ કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ બે પ્રોડક્ટ્સ હલકી ગુણવત્તાની છે, તે નિર્ધારિત ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી નથી, તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
છેલ્લા કેટલાક દિવસથી ભારતીય કફ સિરપને લઈને બબાલ ચાલી રહી છે ત્યારે હવે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલી માહિતી અનુસાર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ ભારતની બે વેક્સિનનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે. WHO એ સલાહ ઉઝબેકિસ્તાનને લઈને આપી છે. WHO કહ્યું છે કે, નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેકની કફ સિરપનો ઉપયોગ ન કરવો જોઈએ. મેડિકલ પ્રોડક્ટને એલર્ટ કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ બે પ્રોડક્ટ્સ હલકી ગુણવત્તાની છે, તે નિર્ધારિત ગુણવત્તાના માપદંડોને પૂર્ણ કરતી નથી, તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
WHO દ્વારા જારી કરાયેલ મેડિકલ એલર્ટ અનુસાર, ઉઝબેકિસ્તાનમાં 22 ડિસેમ્બર 2022ના રોજ હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો જોવા મળ્યા છે. આ નબળી ગુણવત્તાયુક્ત તબીબી ઉત્પાદનો નિયત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ. આ બે કફ સિરપના નામ AMBRONOL અને DOK-1MAX સિરપ છે. MARION BIOTECH PVT.LTD કંપની આ બંને કફ સિરપ બનાવે છે. આજ સુધી કંપનીએ પ્રોડક્ટની સલામતી અને ગુણવત્તા મુદ્દે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કોઈ ગેરંટી આપી નથી.
અહીં તમને જણાવી દઈએ કે નોઈડા સ્થિત આ કંપનીની દવા પીવાથી ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત થયા હોવાના પણ આરોપ લાગ્યા છે. ડબ્લ્યુએચઓ લેબ વિશ્લેષકોએ કપ સિરપના નમૂનાઓની તપાસ કરી અને જાણવા મળ્યું કે બંને સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ મળી આવ્યા હતા. આ બંને સિરપ પાસે ઘણા દેશોમાં માર્કેટિંગ લાયસન્સ છે, તે અહીં સપ્લાય કરવામાં આવ્યું હોવું જોઈએ. પરંતુ આ બંને ઉત્પાદનો નબળી ગુણવત્તાના અને તેનો ઉપયોગ ખાસ કરીને બાળકો પર ન કરવો જોઈએ, ગંભીર પરિણામો આવી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી ભારતીય દવાઓ પર આરોપો લાગી રહ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે, 22 ડિસેમ્બરે ઉઝબેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે મેરિયન બાયોટેક કંપનીની કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત થયા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે આ કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું. આ મુદ્દે ગૌતમ બુદ્ધ નગરના ડ્રગ ઇન્સ્પેક્ટર વૈભવ બબ્બરે જણાવ્યું કે, અમે કંપનીનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે. કંપની નોટિસ જારી કર્યા પછી જરૂરી દસ્તાવેજો બતાવવામાં નિષ્ફળ ગઈ હતી. નમૂનાના પરિણામો આવવાના બાકી છે. ગયા મહિને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે નોઈડા સ્થિત કંપનીમાં ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે.