ટ્રંપને અદાલતે આપ્યો ઝાટકો, અમેરિકા એન્ટ્રી બેન પર રોક અકબંધ
ટ્રંપના યાત્રા પ્રતિબંધના આદેશ પર રોકના નિર્ણયને અપીલ અદાલતે યોગ્ય ગણાવતા તેને અકબંધ રાખ્યો છે.
ડોનાલ્ડ ટ્રંપે હાલમાં જ સાત મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતાં એક ઓર્ડરને મંજૂરી આપી હતી, પરંતુ આ પ્રતિબંધના આદેશને યૂએસ ફેડરલ જજે અયોગ્ય ગણાવતાં તેની પર રોક લગાવી દીધી હતી. આ રોક ખસેડવા માટે ટ્રંપે ફેડરલ અપીલ અદાલતના દરવાજે ટકોરા માર્યા હતા, પરંતુ ફેડરલ અપીલ અદાલતમાં પણ ટ્રંપના હાથ કંઇ લાગયું નથી. ટ્રંપના સાત દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા આદેશ પર રોક અકબંધ રાખવામાં આવી છે.
આ નિર્ણય બાદ ગત અઠવાડિયે વિઝા પર લગાવવામાં આવેલી તત્કાલિન રોક પણ ખસેડી લેવામાં આવી હતી. સંબંધિત અધિકારીએ જણાવ્યું કે, જે નાગરિકોના વિઝા ફિઝિકલી કેન્સલ નહોતા કરવામાં આવ્યા કે જેમના વિઝા અન્ય કોઇ પદ્ધતિ હેઠળ માન્ય છે તેઓ અમેરિકાની યાત્રા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, યૂએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કારણે લગભગ 60 હજાર ટ્રાવેલ વિઝા રદ્દ કરવામાં આવ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અનુસાર જજના નિર્ણય બાદ હોમલેન્ડ સિક્યોરિટીએ એક્ઝિક્યૂટિવ ઓર્ડરના કારણે જે પગલાઓ લીધા હતા, એ તમામ પાછા લેવામાં આવ્યા છે. હવેથી અમેરિકા જનાર દરેક વ્યક્તિની પ્રમાણભૂત પ્રક્રિયા અનુસાર તપાસ થશે.
નોંધનીય છે કે, ગત મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી કરી હતી. આ ઓર્ડર હેઠળ સાત મુસલમાન દેશો સીરિયા, ઇરાન, ઇરાક, લીબિયા, સૂડાન, યમન અને સોમાલિયાથી આવનારા શરણાર્થીઓ પર નવા પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાના ચૂંટણી અભિયાનમાં વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આતા વેંત જ શરણાર્થીઓ સામે કડક પગલાં લેશે. રાષ્ટ્રપતિ ટ્રંપનું માનવું છે કે આમ કરીને તેઓ ઉગ્રવાદી ઇસ્લામિક આતંકવાદીઓને અમેરિકાથી દૂર રાખવા માટે નવા મોટા પગલા લઇ રહ્યાં છે.
અહીં વાંચો - ટ્રંપનો નવો એક્ઝિક્યૂટીવ ઓર્ડર, ભારતીયોની મુશ્કેલી વધારશે