પાકિસ્તાનમાં આવતીકાલે મતદાન : ત્રિકોણીય જંગની શક્યતા
આ વર્ષે માર્ચમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)નાં નેતૃત્વવાળી સરકારનાં પાંચ વર્ષનો સમયગાળો પૂરો થયા બાદ 11મી મેએ ચૂંટણી યોજાવવાની જાહેરાત કરાઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી શરૂ થઈ જશે અને તમામ પરિણામો આવવામાં એક અઠવાડિયાથી વધુનો સમય લાગી શકે છે.
પાકિસ્તાનની સંસદમાં નીચલા ગૃહમાં નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો હોય છે, પરંતુ અહીંના સંવિધાન પ્રમાણે 272 બેઠકો પર જ સીધી ચૂંટણી થાય છે અને 60 બેઠક મહિલાઓ તથા 10 બેઠક લઘુમતીઓ માટે આરક્ષિત હોય છે. સીધી ચૂંટણીમાં મળેલી બેઠકોનાં પ્રમાણે જ અલગ અલગ દળોને આ આરક્ષિત 70 બેઠક ફાળવાય છે. સરકાર બનાવવા માટે કોઈ પણ રાજકીય પક્ષ અથવા ગઠબંધનને ઓછામાં ઓછા 172 બેઠકો મળવી જરૂરી હોય છે.
આ વખતની ચૂંટણીઓમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન), રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને ભુટ્ટો પરિવારની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) તથા ક્રિકેટના મેદાનમાંથી રાજકારણના મેદાનમાં ઝંપલાવનારા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરિક - એ - ઇન્સાફ પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ મુખ્ય પક્ષો ઉપરાંત પીએમએલ-ક્યુ, જમાત-એતઇસ્લામી, અવામી નેશનલ પાર્ટી જેવા પક્ષો પણ પોતાની તાકાતનું પ્રદર્શન અને ચકાસણી કરશે.
પાકિસ્તાનમાં છેલ્લે 18 ફેબ્રુઆરી, 2008ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેમાં પીપીપીને 121 બેઠકો અને 35.5 મતો પ્રાપ્ત થયા હતા.પીએમએલ-એનને 91 બેઠકો અને 26.6 ટકા મતો પ્રાપ્ત થયા હતા. ઇમરાન ખાને ગત ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. આ વખતે ભ્રષ્ટાચાર, આતંકવાદ, જાતિય હિંસા વગેરે જેવા મુદ્દાઓ ચર્ચામાં છે. જો કે આ વખતે ચૂંટણીઓમાં કાશ્મીરનો મુ્દ્દો ગાયબ છે.
પાકિસ્તાનમાં કુલ 8 કરોડ, 61 લાખથી વઘારે મતદાતાઓ નેશનલ અને પ્રાંતિય વિધાનસભાઓના 1000થી વધારે ઉમેદવારો માટે મતદાન કરશે. નેશનલ એસેમ્બ્લીની સાથે પંજાબ, સિંધ, પખ્તૂનખ્વાહ અને બલૂચિસ્તાન પ્રાંતોની એસેમ્બ્લીઓ માટે પણ મતદાન થવાનું છે. પંજાબમાં પ્રાંતિય એસેમ્બ્બીની 371, સિંધમાં 168. ખબર પખ્યૂનખ્વાહમાં 124 અને બલૂચિસ્તાનમાં 65 બેઠકો છે.