સૈયદ મુસ્તાક અલી ટ્રોફીને કોરોનાનું ગ્રહણ, 4 ખેલાડી કોરોના પોઝિટિવ!
વિશ્વવ્યાપી કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષમાં ડોમેસ્ટિક ક્રિકેટ પર મોટી અસર પડી છે, જેના કારણે ખેલાડીઓને ડોમેસ્ટિક લેવલ પર વધુ રમવાની તક મળી નથી.
નવી દિલ્હી : વિશ્વવ્યાપી કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષમાં ડોમેસ્ટિક ક્રિકેટ પર મોટી અસર પડી છે, જેના કારણે ખેલાડીઓને ડોમેસ્ટિક લેવલ પર વધુ રમવાની તક મળી નથી. આ બાબતને ઘ્યાનમાં રાખીને BCCIએ થોડા સમય પહેલા સ્થાનિક ક્રિકેટ કેલેન્ડર જારી કર્યુ હતું, જે અંતર્ગત 2021-22ની સિઝન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી શરૂ કરવામાં આવશે. T20 ફોર્મેટમાં રમાતી આ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી રમાશે. આ માટે તમામ રાજ્યોની ટીમોએ પોતાના ખેલાડીઓની પસંદગી કરીને કેમ્પ લગાવવાનું શરૂ કરી દીધું છે.
આ યાદીમાં મુંબઈએ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે અને કેમ્પમાં પહોંચવા આદેશ કર્યો છે. જો કે, આ મોટી ટૂર્નામેન્ટ પહેલા મુંબઈના કેમ્પમાં હાલ ખળભળાટ મચી ગયો છે, તેની ટીમના એક નહીં, બે નહીં પરંતુ 4 ખેલાડીઓ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમના 4 ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને મેનેજમેન્ટે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની પસંદગી પણ કરી છે. નામ જાહેર ન કરવાની શરતે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, કોરોના ટેસ્ટના રિપોર્ટમાં વરિષ્ઠ ટીમના 4 ખેલાડીઓ પોઝિટિવ મળ્યા છે. જેમાં શમ્સ મુલાની, સાઈરાજ પાટીલ, પ્રશાંત સોલંકી અને સરફરાઝ ખાનના નામ સામેલ છે.
બીસીસીઆઈના અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી કે આ ચાર ખેલાડીઓને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેમના સ્થાને 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે અને તેમના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઈની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલિટ ગ્રુપ બીમાં રાખવામાં આવી છે, જે 4 નવેમ્બરે ગુવાહાટી સામે આ ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટના લીગ ગ્રુપની પ્રથમ મેચ રમશે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે, અમે રિપ્લેસમેન્ટ ખેલાડીઓના રેપિડ RTPCR ટેસ્ટ કરાવ્યા છે અને હાલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. તેના રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેને ટીમમાં સામેલ થવા માટે લીલી ઝંડી આપીશું. અમે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બાકીની ટીમના ખેલાડીઓ માટે RTPCR ટેસ્ટ પણ કરાવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પ્રથમ મેચ કર્ણાટક અને મુંબઈ વચ્ચે રમાશે.