પદ્મ ભૂષણ માટે એમ.એસ.ધોનીના નામનો પ્રસ્તાવ
બીસીસીઆઇ દ્વારા પદ્મ ભૂષણ માટે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ રજૂ કરવામાં આવ્યું.
બીસીસીઆઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને દુનિયાના બેસ્ટ વિકેટ કીપર બેટ્સમેન કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીનું નામ પદ્મ ભૂષણ સન્માન માટે સૂચવવામાં આવ્યું છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વિશિષ્ટ સન્માન માટે એમ.એસ.ધોનીનું નામ મોકલવા માટે બોર્ડના તમામ વરિષ્ઠ અધિકારીઓ સંમત થયા હતા. આ દેશનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જો ધોનીને આ સન્માન મળે તો તેઓ આ ઉપલબ્ધિ મેળવનાર ટીમ ઇન્ડિયાના 11મા ક્રિકેટર બનશે. આ પહેલાં સચિન તેંડુલકર, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, ચંદૂ બોર્ડે, ડીબી દેવધર, સીકે નાયડૂ જેવા ક્રિકેટ ખેલાડીઓ આ સન્માન મેળવી ચૂક્યા છે.

ઑસ્ટ્રેલિયા સામેની પહેલી વન ડે મેચમાં ભારતીય ટીમને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન કરનાર ધોની હાલ ફુલ ફોર્મમાં છે. આ પહેલાં શ્રીલંકા સામેની સીરિઝમાં પણ ધોનીએ કટોકટીની સ્થિતિમાં મેચ ભારતીય ટીમના પક્ષમાં કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ બે વિશ્વકપ જીતી ચૂકી છે, 2007માં ટી20 વિશ્વકપ અને 2011માં 28 વર્ષ બાદ ટીમ ઇન્ડિયા વન ડે વિશ્વકપ પર કબજો જમાવવામાં સફળ રહી હતી. ધોનીએ 302 વન ડે મેચમાં 9737 અને 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોની 16 સદી ફટકારી ચૂક્યા છે, ટેસ્ટમાં 6 તથા વન ડેમાં 10.












Click it and Unblock the Notifications
