Cricket: રવિ શાસ્ત્રી કોચ પદ છોડી શકે છે, રાહુલ દ્રવિડ નવા કોચ બની શકે!
ભારતીય ક્રિકેટ ટીમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાનો સાથ છોડી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાનો સાથ છોડી શકે છે. શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોર આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાથી અલગ થઈ શકે છે. તેનું મુખ્ય કારણ આઇસીસી ટાઇટલ જીતવામાં ટીમ ઇન્ડિયાની નિષ્ફળતા હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રીના કોચ હેઠળ ટીમ ઇન્ડિયા એક પણ આઇસીસી ટાઇટલ જીતી શકી નથી.
નવેમ્બર 2021 માં રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ પુરો થઈ રહ્યો છે
શાસ્ત્રીએ આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પણ જાણ કરી છે. શાસ્ત્રી સહિત સમગ્ર કોચિંગ સ્ટાફનો કાર્યકાળ નવેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI ટી 20 વર્લ્ડ કપ બાદ નવા કોચિંગ સ્ટાફની નિમણૂક કરવા માંગે છે, જેથી ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જઈ શકાય.
2014 થી શાસ્ત્રી ટીમ સાથે છે
રવિ શાસ્ત્રી પહેલીવાર ડિરેક્ટર તરીકે વર્ષ 2014 માં ટીમ ઇન્ડિયામાં જોડાયા હતા. તેમનો કરાર 2016 સુધીનો હતો. ત્યારબાદ શાસ્ત્રીને એક વર્ષ માટે કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અનિલ કુંબલે બાદ તેઓ 2017 માં ટીમ ઈન્ડિયાના પૂર્ણ સમયના કોચ બન્યા હતા. તે સમયે શાસ્ત્રીનો કાર્યકાળ 2019 વનડે વર્લ્ડકપ સુધીનો હતો. 2019 માં સારા પ્રદર્શન બાદ શાસ્ત્રીનો કરાર 2020 ટી 20 વર્લ્ડ કપ સુધી વધારવામાં આવ્યો હતો. ગયા વર્ષે ટી 20 વર્લ્ડ કપ કોરોનાના કારણે યોજાઈ શક્યો ન હતો, શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષના ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડિરેક્ટર રાહુલ દ્રવિડને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતને સફળતા અપાવી
શાસ્ત્રીની તાલીમ હેઠળ જ ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. આ પછી ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમાઇ હતી. જો કે, શાસ્ત્રી, શ્રીધર અને વિક્રમના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયા ક્યારેય આઇસીસી ટાઇટલ જીતી શકી નથી. 2019 ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ હારી ગઈ. આ પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
કોચના દાવેદાર તરીકે રાહુલ દ્રવિડ મજબુત દાવેદાર
પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બનાવી શકાય છે. દ્રવિડે તેના કોચિંગમાં ઇન્ડિયા-એ અને ભારતની અંડર-19 ક્રિકેટ ટીમને ઘણી સફળતા અપાવી છે. તાજેતરમાં શ્રીલંકા સામે રાહુલ દ્રવિડ ટીમ સાથે મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વનડે શ્રેણી જીતી હતી.
દ્રવિડે ભારતને સફળતા અપાવી છે
એનસીએના વડા તરીકે રાહુલ દ્રવિડનો કરાર પણ સમાપ્ત થઈ ગયો છે. બોર્ડે એનસીએ ચીફના પદ માટે અરજીઓ મંગાવી છે. જુલાઇ 2019 માં દ્રવિડને એનસીએના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો દ્રવિડ એનસીએ ચીફના પદ માટે ફરીથી અરજી નહીં કરે તો તે નિશ્ચિત છે કે ટીમ ઈન્ડિયાના કોચ માટે તેનો દાવો મજબૂત થશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો