પૂર્વ CAG વિનોદ રાય BCCI ના ચાર સભ્યોની પ્રશાસક પેનલના અધ્યક્ષ નિયુક્ત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચાર સભ્યોની પ્રશાસક પેનલની રચના કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ વિનોદ રાયને આ પેનલનું નેતૃત્વ સોંપ્યું છે.
સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(કેગ) વિનોદ રાયને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ચાર સભ્યોની પ્રશાસનિક પેનલના અધ્યક્ષ નિયુક્ત કર્યાં છે. આ પેનલમાં વિનોદ રાયના સહયોગ માટે ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, પૂર્વ મહિલા ક્રિકેટર ડિયાના ઇદુલજી અને બેન્કર વિક્રમ લિમયેનો પણ સમાવેશ થાય છે. પૂર્વ કેગ વિનોદ રાયે જ કોલસા ગોટાળાનો ખુલસો કર્યો હતો.

સુપ્રિમ કોર્ટમાં રમત વિભાગના સચિવને આ પેનલના સભ્ય તરીકે નિયુક્ત કરવાની અરજી કરવામાં આવી હતી, જે સુપ્રિમ કોર્ટે નકારી કાઢી છે. બેન્કર વિક્રમ લિમયે અને બીસીસીઆઇના સંયુક્ત સચિવ અમિતાભ ચૌધરી આઇસીસીની નાણાકીય શેરો સંબંધિત બેઠકોમાં બીસીસીઆઇનું નેતૃત્વ કરશે. ક્રિકેટ પ્રશાસકોની નિયુક્તિ માટે અમાઇકસ ક્યૂરી ગોપાલ સુબ્રમણ્યમ અને અનિલ દીવાને સુપ્રિમ કોર્ટ સમક્ષ 9 નામોની સૂચિ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટના આદેશને કારણે જ ગોપાલ સુબ્રમણ્યમ અને અનિલ દીવાને આ સૂચિ તૈયાર કરી સુપ્રિમ કોર્ટને સોંપી હતી.
24 જાન્યુઆરીના રોજ બીસીસીઆઇના મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઇ હતી, પરંતુ લોઢા સમિતિની ભલામણને આધારે બીસીસીઆઇમાં પરિવર્તન લાવવા માટે કોર્ટે પ્રશાસકોના નામોની ઘોષણા નહોતી કરી. તે સમયે કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર અને બીસીસીઆઇ આ અંગે સૂચન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 2 જાન્યુઆરીના રોજ સુપ્રિમ કોર્ટ કડક પગલું ભરતાં બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને બીસીસીઆઇના સચિવ અજય શિર્કેને તેમના પદ પરથી હાંકી કાઢ્યા હતા. આ પહેલા ઘણીવાર સુપ્રિમ કોર્ટે અનુરાગ ઠાકુર તથા બીસીસીઆઇની ઝાટકણી પણ કાઢી હતી. સુપ્રિમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, લોઢા સમિતિની ભલામણના કારણે કોઇ પણ એવા વ્યક્તિની બીસીસીઆઇમાં નિમણૂક ન કરી શકાય, જેમની ઉંમર 70 વર્ષથી વધારે હોય.












Click it and Unblock the Notifications
