IPLમાં પાર્ટીઓ અને ચીયરગર્લ્સ પર પ્રતિબંધ મૂકીશ : દાલમિયા
દાલમિયાએ આગામી સમયમાં ભારતીય ક્રિકેટની બગડેલી પ્રતિષ્ઠા સુધારવા અને તેમાં ફેલાઈ ગયેલી ગંદકી દૂર કરવાના અનેક પ્લાન જણાવ્યા છે. તેમણે કહ્યું કે મને જવાબદારી સોંપવામાં આવી છે અને હું એમાં જરાય પાછી પાની નહીં કરું. દાલમિયાએ કહ્યું છે કે હું ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માંથી સડો દૂર કરીશ. એ માટે દર્શકોના મનોરંજન માટે ચીયરલીડર્સનો ઉપયોગ બંધ કરાવીશ અને મેચો દરમિયાન સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ જેવા નિયમોને પડતા મૂકાવીશ. ઉપરાંત આઈપીએલની મેચો સમાપ્ત થયા બાદ યોજાતી પાર્ટીઓ ઉપર પણ પ્રતિબંધ આવી શકે છે. હાલના વિવાદોને કારણે આઈપીએલની પ્રતિષ્ઠા બગડી છે.
આઈપીએલમાં બહાર આવેલા સ્પોટ-ફિક્સિંગ વિવાદમાં ક્રિકેટ બોર્ડે હાથ ધરેલી તપાસ ક્યારે પૂરી થશે તેની સમયમર્યાદા જણાવવાનો દાલમિયાએ ઈનકાર કર્યો છે. તેમણે જોકે એમ કહ્યું છે કે આઈપીએલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જો ખેલાડીઓ સંડોવાય તો જે તે ટીમના માલિકોને જવાબદાર ગણવા જોઈએ. બુકીઓને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા રોકવા માટે સુરક્ષા અધિકારીઓને ખેલાડીઓની ભેગા જ રાખવા જોઈએ.
દાલમિયાએ કહ્યું છે કે, મેં ખજાનચી અજય શિર્કે અને સેક્રેટરી સંજય જગદાલેને તેમના રાજીનામા પાછી ખેંચી લેવા 24 કલાકનો સમય આપ્યો છે. જગદાલેએ સ્પષ્ટપણે કહી દીધું છે કે રાજીનામું પાછું ખેંચવાની એમની કોઈ ઈચ્છા નથી. શિર્કે પાસેથી હજી કોઈ જવાબ આવ્યો નથી. સૂત્રોએ કહ્યું છે કે સંજય જગદાલે અને અજય શિર્કેએ રાજીનામું આપી ચૂક્યા હોવાથી તેમના પદ અનુક્રમે સેક્રેટરી અને ખજાનચીની સત્તા હાલ દાલમિયાના હાથમાં છે.