ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન M S ધોનીની ધરપકડ કરાશે?
હૈદરાબાદ, 24 જૂન : આંધ્રપ્રદેશની એક કોર્ટે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં વોરન્ટ બહાર પાડ્યું છે.
અનંતપુરની સ્થાનિક કોર્ટે ધોનીને ત્રણ સમન્સ પાઠવ્યા છતાં કોર્ટમાં હાજર નહીં રહેવા બદલ ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. કોર્ટે પોલીસને 16 જુલાઇએ કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ એક મેગેઝિનના કવર પેજ પર મહેન્દ્ર સિંહ ધોનીના ફોટોગ્રાફના સંદર્ભમાં છે.
બિઝનેસ ટુડે નામના મેગેઝિનના એપ્રિલ 2013ની એડિશનમાં આ વિવાદિત ફોટોગ્રાફ છાપવામાં આવ્યો હતો. જેમાં ધોનીને હિન્દુઓના દેવતા વિષ્ણુ તરીકે દર્શાવીને લખવામાં આવ્યું હતું કે 'ગોડ ઓફ બિગ ડીલ્સ' અને તેમના હાથમાં જુતાં બનાવતી કંપનીઓ સહિત વિવિધ કંપનીઓના ઉત્પાદનો દર્શાવવામાં આવ્યા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા વાય શ્યામ સુંદરે આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે ક્રિકેટરે હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે.
આ કેસમાં કોર્ટે અત્યાર સુધીમાં ધોનીને ત્રણ સમન પાઠવ્યા છે. જે પાછા આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને મંગળવારે કેસમાં સુનવણી કરતા સમયે કોર્ટે ધોની સામે ધરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે. આ મુદ્દે ધોનીની સામે દિલ્હી, પુના અને અન્ય શહેરોમાં પણ અરજીઓ દાખલ થઇ છે.