IPL સ્પોટ ફિક્સિંગ : BCCI શ્રીસંત પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકી શકે
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર : આઇપીએલ 6માં સ્પોટ ફિક્સિંગ માટે દોષિત ઠરેલા ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત સહિત અજીત ચંડિલા અને અંકિત ચૌહાણ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. આ ખેલાડીઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવા માટે માંગણી કરવામાં આવી છે. આ ત્રણ ખેલાડીઓ સહિત બીસીસીઆઇએ કુલ છ લોકોને સ્પોટ ફિક્સિંગ માટે દોષિત ઠેરવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની ભ્રષ્ટાચાર વિરોધી એકમના પૂર્વ સભ્ય રવિ સવાનીને આ કેસની તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ત્રણે ખેલાડીઓ હાલ જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે તેમને 16 મે, 2013ના રોજ મુંબઇની એક હોટલમાંથી દિલ્હી પોલીસે ધરપકડ કરીને પકડ્યા હતા. તેમને થોડા સમય માટે ન્યાયિક એટકાયત હેઠળ તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

કહેવામાં આવે છે કે આ કેસની તપાસ કરી રહેલા સવાનીએ પાછલા મહિનામાં કોલકત્તામાં યોજાયેલી બીસીસીઆઇના કાર્યસમિતીની બેઠકમાં જ પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટના આધારે આ ખેલાડીઓના ભવિષ્ય અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
જો આ ખેલાડીઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવે છે તો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવું બીજી વાર થશે જ્યારે ખેલાડીઓએ મેચ ફિક્સિંગના કારણે પ્રતિબંધની સજા ભોગવવી પડી હોય. આ પહેલા અજય જાડેજા, મોહમ્મદ અઝડરૂદ્દીન અને મનોજ પ્રભાકર પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
