કોહલીથી ડર્યો ધોની, કરી ઇષ્ટદેવીની પૂજા!
જમશેદપુર, 6 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટની ગ્લેમર અને લોકપ્રિયતાની દુનિયા ઘણી અલગ છે. ક્યારેક ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે જેવું ક્રિકેટનું મેદાન છોડ્યું કે તુરત જ તેઓ સમાચારમાં આવવાનું બંધ થઇ ગયું. તેવી જ રીતે ક્રિકેટ મેદાનથી દૂર રહેલા યુવરાજ સિંહ, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીરનું નામ પણ ધીરે-ધીરે ગાયબ થઇ રહ્યું છે, કદાચ એ જ ડર ટીમ ઇન્ડિયાના સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને પણ સતાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
ટીમ ઇન્ડિયાનો યુવા ચહેરો વિરાટ કોહલી હાલ ધોનીની અવેજીમાં ટીમ ઇન્ડિયાનો સુકાની છે. તેણે ઝિમ્બાવ્વે સામેની શ્રેણી 5-0થી શું જીતી કે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર મોહીનું નામ સમાચારમાં આવવાનું બંધ થઇ ગયું. કદાચ આ જ ડરના કારણે મહેન્દ્ર સિંહ ધોની ઇષ્ટ દેવીની પૂજા કરવા પહોંચી ગયો. ટીમ ઇન્ડિયાના ઝિમ્બાવ્વે પ્રવાસથી દૂર રહેલો અને રજા માણી રહેલો ધોની પોતાના મિત્રો સાથે અહીં અંદાજે 65 કિમી દૂર સ્થિત પોતાના ઇષ્ટ દેવી દેવડીમાંના મંદિરે પૂજા અર્ચના કરી.
2011 વિશ્વકપ પહેલા પણ કરી હતી પૂજા
ધોની કોઇ વિશેષ સફળતા અથવા તો મન્નત માંગવા માટે અથવા તો પછી કોઇ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટે અહીં આવે છે. છેલ્લે ધોની આ મંદિરે ત્યારે આવ્યો હતો જ્યારે ભારત 2011નો વિશ્વકપ જીતવાની તૈયારી કરી રહ્યું હતું. ડિસેમ્બર 2009માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને પાંચ વર્ષ પૂર્ણ થતાં ધોનીએ અહીં વિશેષ પૂજા કરી હતી. કડક સુરક્ષા વચ્ચે ધોની મંદિર પહોંચ્યો, જ્યાં તેણે 20 મીનીટ ગાળી હતી.
કોહલીને આપી બી ગ્રેડ છતાં 5-0થી જીતી શ્રેણી
ત્રણ વર્ષ બાદ પણ ઝિમ્બાવ્વે માટે અનુભવહીન ટીમ ઇન્ડિયાને મોકલવામાં આવી. ડર હતો કે ક્યાંક એ કહાણી ફરીથી ના લખાય. પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાવ્વે સામેનો બદલો તો પણ લીધો અને શ્રેણીમાં 5-0થી વિજય નોંધાવ્યો.
વનડેનો ધમાકો છે વિરાટ કોહલી
છેલ્લી નવ વનડેમાં વિરાટ કોહલીએ પાંચ સદી ફટકારી છે. ટેસ્ટમાં છેલ્લી છ ઇનિંગમાં તેના નામે 2 સદી અને 3 અડધી સદી છે. દ્રવિડ અને લક્ષ્મણે નિવૃત્તિ લઇ લીધા બાદ કોહલીના માથે વિરાટ જવાબદારી છે અને કોહલી તેને પોતાના ખભે ઉઠાવવા માટે તૈયાર છે.
અન્ડર 19ની વિશ્વ વિજેતા ટીમનો સુકાની
વિરાટમાં મોટા ભાગે બાળવૃત્તિ જોવા મળતી હોય પરંતુ શરૂઆતથી જ આ બાળકને પોતાના લક્ષ્યનો અંદાજો હતો. ખેલ, મોજ મસ્તી અને ભણતર સાથે તાલમેલ મેળવવાની આવડત કોહલીમાં પહેલાથી છે. સ્કૂલ, અન્ડર 17 ક્રિકેટના રસ્તે આગળ વધેલો વિરાટ કોહલી અન્ડર 19 વિશ્વકપ વિજેતા ટીમનો સુકાની હતો.