BCCIની SGM બોલાવવા શ્રીનિવાસન પર દબાણ
બોર્ડ પર હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ ઠાકુર કરે છે. તેમણે કહ્યું કે આ કૌભાંડને લીધે ક્રિકેટની છબી ખરડાઈ છે, પરંતુ હવે તેને સુધારવાની આપણી જવાબદારી છે. ઠાકુરે એમ પણ જણાવ્યું કે આ મામલે પોતાને તેમજ અન્ય સભ્યોને બીસીસીઆઈની એસજીએમમાં પોતાના વિચારો પ્રદર્શિત કરવા છે. બોર્ડમાં જે 9 સ્થાનિક ક્રિકેટ એસોસિએશનોએ શ્રીનિવાસન વિરુદ્ધ વલણ અપનાવ્યું છે તેમાંનું એક ઠાકુરનું હિમાચલ પ્રદેશ પણ છે. ઠાકુરે જણાવ્યું કે એસજીએમ બોલાવવાનો અધિકાર પ્રમુખ અને સેક્રેટરીને છે.
આ દરમિયાન એવી માહિતી પણ આવી રહી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને બોર્ડના અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધો અંગે ચેતવણી આપી હતી. આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ મયપ્પન અને બુકીઓ વચ્ચેના સંબંધોની ભાળ મેળવી હતી અને બીસીસીઆઇને ચેતવ્યું હતું.