T20 WC : ભારત-પાકિસ્તાન મેચ પહેલા BCCI એ આ ચાર ખેલાડીઓ પરત બોલાવ્યા!
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે રમાશે. પરંતુ તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટું પગલું ભર્યું છે. BCCI એ ટીમ ઇન્ડિયા કેમ્પમાં સામેલ ચાર ક્રિકેટરોને પરત ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. T20 વર્લ્ડ કપ દરમિયાન જે ખેલાડીઓને સ્વદેશ પરત મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં નેટ બોલર શાહબાઝ નદીમ, કૃષ્ણપ્પા ગૌતમ, કર્ણ શર્મા અને વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે. ટી 20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ બેટ્સમેનોને તૈયાર કરવા માટે આઠ નેટ બોલરોની પસંદગી કરી હતી. યુએઈથી પરત ફરેલા આ ચારેય બોલરો ડોમેસ્ટિક ટુર્નામેન્ટના ભાગરૂપે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળશે.
આ ચાર બોલરોને પરત બોલાવ્યા બાદ ઉમરાન મલિક, અવેશ ખાન, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલાને ભારતીય ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. વર્લ્ડ કપ દરમિયાન BCCIએ નેટ બોલર તરીકે ફાસ્ટ બોલરોને વધુ મહત્વ આપ્યું છે. આ ચાર ફાસ્ટ બોલર સમગ્ર વિશ્વ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ શરૂ થયા બાદ વધુ નેટ સત્ર યોજાવાના નથી, જેના કારણે પસંદગીકારોને લાગ્યું કે આ બોલરોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમવી જોઈએ. જેના કારણે આ ખેલાડીઓને મેચ પ્રેક્ટિસ મળશે. સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર હર્ષલ પટેલે સંયુક્ત આરબ અમીરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી IPL 2021માં 32 વિકેટ ઝડપી હતી. તેના પછી બીજા નંબરે દિલ્હી કેપિટલ્સનો બોલર અવેશ ખાન હતો. તે જ સમયે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પણ તેની ગતિથી સૌને પ્રભાવિત કર્યા હતા. આ ટૂર્નામેન્ટ દરમિયાન તેણે પોતાની ઝડપી બોલિંગ દ્વારા બધાને પ્રભાવિત કર્યા હતા. આ સિઝનમાં તેણે સૌથી ઝડપી ડિલિવરી કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.