Diwali Travel Plan : આ દિવાળીમાં માણો ગુજરાતની આ ખાસ ટ્રીપ
આ દિવાળીની રજાઓમાં ફરો ગુજરાત અને જાણો ગુજરાતની સંસ્કૃતિ. ગુજરાતના પાંચ એવા સ્થળો જ્યા તમે તમારી દિવાળીની રજાનો આનંદ માણી શકો છો. આ અંગે વધુ વાંચો અહીં
ગુજરાત એટલે સંસ્કાર, મહેનત અને સુંદરતાનો સમ્નવય. અહીં તમે કુદરતના તમામ રંગોને એક સાથે માણી શકો છો. તળાવ, ઝરણાં, નદી, મહેલો, સ્થાપત્યો જે ફરવાની કે જોવાની ઈચ્છા થાય તે બધું અહીં મળી રહે છે. જો તમને ભારત ભ્રમણ કરવાની ઇચ્છા હોય તો એ પહેલા ચોક્કસ એક વખત ગુજરાત ભ્રમણ કરવું જોઇએ. તો જ આ ગુજરાતમાં શું છે? તે સમજાશે. તો રાહ કોની જોવી? આવી ગઈ છે દિવાળીની રજાઓ, આ વર્ષે દિવાળીનો આનંદ આપણા છેલછબીલા ગુજરાતમાં જ લઈએ. આમ કરવાથી તમને બે ફાયદા થશે: તમે ઓછા બજેટમાં દિવાળીની રજા પણ માણશો અને તમે પ્રવાસ કે યાત્રા પર પણ જઇ શકશો.
કચ્છ
કચ્છથી આજે કોઈ વ્યક્તિ અજાણ નથી. અહીંના રણમાં તમને રાજસ્થાન જોવા મળશે, તો અહીની ઠંડીમાં તમને કાશ્મીરની યાદ આવશે. આ સ્થળે તમને પાણીથી ભરેલું નારાયણ સરોવર પણ જોવા મળશે, તો બીજી તરફ તમને રણની વચ્ચો વચ્ચ આવેલી હાજીપીરની દરગાહ પણ જોવા મળશે. કચ્છના રાજાઓના વિશાળકાય મહેલો, આજે પણ તેમને તેની ભવ્યતા અને સમૃદ્ધિની ઝાંખી કરાવે છે. રાજા પ્રાગમલજીનો આ મહેલ, જેને પ્રાગમહેલના નામે ઓળખવામાં આવે છે, તે કચ્છના ભુજમાં આવેલો છે. આ મહેલની ઉપર આવેલી ઘડિયાળ એટલી ઊંચી છે કે, તમે તેને ભુજમાં દુરથી પણ જોઈ શકો છો.PC- nevil zaveri
હડપ્પીય સંસ્કૃતિનો સંગમ
ગુજરાતમાં લોથલ અને ધોળાવીરો બંન્ને સ્થળોએ હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળ્યા છે. જેમાં કચ્છમાં આવેલુ ધોળાવીરા આજે પણ એ સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવે છે. અહીં તમને એ સમયની બજાર, મહેલ, કુંડ અને તે સમયની કેટલીક ઉપયોગી વસ્તુઓ પણ જોઈ શકો છો. આ સ્થળોની મુલાકાત માટે દિવાળીનો સમય યોગ્ય છે. ધીમી ઠંડીની વચ્ચે આવા સ્થળો ફરવાનો આનંદ કંઈ અનેરો લાગે છે.PC- Travelling Slacker
ગુજરાતનો તાજ મહેલ
ભારતમાં તાજ મહેલની વાત કરવામાં આવે તો તમારો જવાબ આગ્રાનો તાજમહેલ હશે. પરંતુ તમને ગુજરાતના તાજ મહેલ વિશે પુછવામાં આવે તો તમે જાણો છો કે એ ક્યાં આવેલો છે? તાજ મહેલને પણ ટક્કર આપે તેવો આ મહેલ જુનાગઢમાં આવેલો છો. સફેદ આરસના પથ્થરમાં આ મહેલ નથી બન્યો, પરંતુ તેની કલાકૃતિ અને તેની રચના જોઈને દુરથી પણ લોકો મોહી જાય તેવો આ મહેલ છે. આ મહેલને 'મહોબ્બત મકબરો'ના નામથી ઓળખવામાં આવે છે. આ મહેલ માત્ર એક સમાધી છે. જે 18મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.PC- Arunnimbel
પાવાગઢ
આ સ્થળે તમે માં મહાકાળીના દર્શનનો લાભ લઈ શકો છો. માતાના દર્શન કરવા માટે અહીં રોપ-વેની પણ સગવડ કરવામાં આવી છે. માતાના દર્શન કર્યા બાદ તમે આસપાસના સ્થળોની મુલાકાત લઈ શકો છો. જો તમને ઐતિહાસિક સ્થળોએ ફરવામાં રસ હોય તો પાવાગઢ તમારા માટે એકદમ યોગ્ય જગ્યા છે. અહીંથી થોડે દુર તમે ચાંપાનેરમાં કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો.PC- Suman Wadhwa
જામનગર
બાંધણીનું શહેર જામનગર. આ સ્થળે તમે ફરવાની સાથે કાઢિયાવાળી ખાણીપીણીનો પણ સ્વાદ માણી શકો છો. આ સાથે જ જગપ્રખ્યાત બાંધણીની ખરીદી પણ કરી શકો છો. જામનગરમાં રાત્રે તળાવના કિનારે ફરવાનો આનંદ જ કંઈ અનેરો છે. લાખોટા તળાવની વચ્ચે આવેલ મહેલ પણ સૌરાષ્ટ્રની એક છાપ ઊભી કરે છે. અહીં તમે મસાલા ઘુઘરા, રગડો જેવી વાનગીઓનો આનંદ માણી શકો છો તથા ઠંડીની શરૂઆત હોવાથી ગરમા ગરમ 'કાવા'ની પણ મજા લઈ શકો છો. PC- Rangilo Gujarati