Agriculture News: યુરિયા ખાતર અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત
Agriculture News: યુરિયા ખાતરની ખરીદી સાથે અન્ય કોઈપણ વસ્તુ ફરજિયાત પણે ખરીદવા અંગે રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે, તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
સભ્ય દ્વારા નેનો યુરિયા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, દાણાદાર યુરિયાના વપરાશથી આ ખાતરમાં રહેલા નાઇટ્રોજન તત્વનો 30 ટકા જેટલો જથ્થો ભેજ સાથે જમીનમાં ઉતરી જાય છે, અને જમીનની ભૌતિક સ્થિતિ બગડે છે. હવામાં ઉડી જતા નાઇટ્રોજનનો વ્યય અટકાવવા માટે ખેડૂતોને નેનો યુરિયા વપરવા માટે પ્રેરીત કરવામાં આવે છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની 500 મિલીની એક બોટલ, 45 કિગ્રાની એક બેગ યુરિયા બરાબર છે. નેનો યુરિયાથી ખાતરોના આડેધડ ઉપયોગથી પર્યાવરણને થતું નુકશાન અટકે છે, તેમજ કૃષિ પેદાશોની ગુણવત્તા અને પોષક મુલ્યમાં વધારો થાય છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્યમાં ક્યાંય પણ યુરિયા ખાતરની અછત સર્જાઈ નથી. પાકની સિઝન દરમિયાન યુરિયા ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો પૂરો પાડવામાં આવે છે. રાજ્યમાં એક-બે જગ્યાએ નિશ્ચિત કારણોસર ખાતર પહોંચવામાં મોડું થયું છે, પરંતુ અછત સર્જાઈ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ખેડૂતોની ચિંતા કરી ખાતરનો જથ્થો સમયસર મંજૂર કરે છે, અને જથ્થો ઉપલબ્ધ પણ કરાવે છે.












Click it and Unblock the Notifications
