Farmer Protest : અમારી સરકાર આવશે તો ખેડૂતોને MSP આપીશું, રાહુલ ગાંધીની આંદોલનકારી ખેડૂતોને ગેરંટી
મોદી સરકારની દમનકારી નીતિઓના વિરોધમાં ખેડૂતોએ ફરીથી મોરચો ખોલ્યો છે અને દિલ્હી કુચ કરી છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છે.
ભારત જોડો ન્યાય યાત્રા પર રહેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના અંબિકાપુરમાં ખેડૂતોના વિરોધ વચ્ચે મોટી જાહેરાત કરી છે.

એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ જાહેરાત કહ્યું કે, જો ઈન્ડિયાની સરકાર આવશે તો અમે ખેડૂતોને MSPની ખાતરી આપીશું.
ખેડૂતોની દિલ્હી સુધીની કૂચ વચ્ચે રાહુલ ગાંધીએ કોંગ્રેસની પહેલી ગેરંટી જારી કરી છે. દિલ્હી જતા હજારો ખેડૂતો અંગે તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને સ્વામીનાથન કમિશન મુજબ લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપીશું.
અંબિકાપુરમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેમને રોકવામાં આવી રહ્યા છે, તેમના પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. તેઓ શું કહી રહ્યા છે? તેઓ ફક્ત તેમની મહેનતનું ફળ માંગે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજેપી સરકારે એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી પરંતુ એમએસ સ્વામીનાથને જે કહ્યું હતું તેનો અમલ કરવા તૈયાર નથી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, તેમણે (સ્વામીનાથન) તેમના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ખેડૂતોને ખરેખર MSPનો કાયદેસરનો અધિકાર મળવો જોઈએ, પરંતુ બીજેપી સરકાર એવું કરી રહી નથી. જ્યારે ઈન્ડિયા સરકાર સત્તામાં આવશે ત્યારે અમે ભારતના ખેડૂતોને MSPની ગેરંટી આપીશું. સ્વામીનાથન રિપોર્ટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમે પૂર્ણ કરીશું.
આ પહેલા સભાને સંબોધિત કરતા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી જાહેરાત કરે છે કે અમે દેશના ખેડૂતોને MSP આપવા માટે પાકની વ્યાપક ખરીદીની સાથે કાયદાકીય ગેરંટી પણ આપીશું. જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે તેનો અમલ કરીશું. ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, 200 થી વધુ ખેડૂત સંગઠનો એમએસપી પર તમામ પાક ખરીદવા માટે કાયદો બનાવવા સહિત તેમની ઘણી માંગ સાથે પંજાબથી દિલ્હી સુધી કૂચ કરી રહ્યા છે. જેમને પોલીસે હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડ લગાવીને અટકાવ્યા છે. ભારે વિરોધ છતાં ખેડૂતો દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
