6 અને 7 ડિસેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ 2024, જાણો ખાસ વાતો
Ravi Krishi Mahotsav 2024: ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગમી તારીખ 6 અને 7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે.
તાલુકા મથકના કાર્યક્રમોનો ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો સહિતના વિવિધ પદાધિકારી અને ઉચ્ચ અધિકારી શુભારંભ કરાવશે. આ રવિ કૃષિ મહોત્સવ 2024માં ગુજરાતના 2.5 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકે, તેમની સમસ્યાનું નિવારણ લાવી શકે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી શકે, નવી ખેત પદ્ધતિઓથી અવગત કરી શકે તેમજ ખેડૂતોની સમસ્યાઓને આધારે સંશોધનો કરી શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2005માં કૃષિ મહોત્સવની નવી પરંપરા શરૂ કરી હતી.
કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે શરૂ થયેલી આ પરંપરાને સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવે વડાપ્રધાનના લેબ ટુ લેન્ડના મંત્રને ખરા અર્થમાં સાકાર કર્યો છે. કૃષિ મહોત્સવના આયોજનથી ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો-તજજ્ઞો વચ્ચેનું અંતર દૂર થયું છે.
રાજ્ય સરકારના આ આયોજનથી કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ સમજવામાં સરળતા થઇ તેમજ ખેડૂતોની સમસ્યાને અનુરૂપ સંશોધનો કરવામાં પણ તેમને સફળતા મળી છે.
કૃષિ મહોત્સવ કાર્યક્રમે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના એક આગવા વિઝનથી શરૂ થયેલો એક અનન્ય કાર્યક્રમ છે, જેના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની આવકમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ છે. આ રવિ કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતોને ભાગ લેવા માટે મંત્રીએ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે, આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ ટેક્નિકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સાથે રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસિઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.
આ સાથે જ, ખેડૂતોને સબંધિત વિસ્તારમાં થતા પાકો અંગે માર્ગદર્શન તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ આપવાનું પણ રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતને કૃષિ ક્ષેત્રે નંબર 1 બનાવવા માટે ચિંતન અને વિવિધ પ્રયાસો કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી “રવિ કૃષિ મહોત્સવ 2024”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે...
— Gujarat Information (@InfoGujarat) December 3, 2024
આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવ યોજાશે...#RaviKrishiMahotsav2024 #Agriculture #BanasKantha @narendramodi @CMOGuj pic.twitter.com/6nyOw3iEUD












Click it and Unblock the Notifications
